ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પહેલા સરકારે આપી મહત્ત્વની માહિતી, જાણી લો નિયમ

પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત જઈ શકે તે માટે એસ.ટીના વિશેષ રૂટની વ્યવસ્થા

તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પહેલા સરકારે આપી મહત્ત્વની માહિતી, જાણી લો નિયમ 1 - image


Gujarat Board Exam: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં ધો. 10 અને 12ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહીં અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.'

કુલ 16,76,739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપશે

11મીથી 22મી માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષા યોજાશે. જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત 31મી માર્ચથી યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11મીથી 31મી માર્ચ સુધીમાં કુલ 16,76,739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે.     

રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 971 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. ઉપરાંત રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર 31મી માર્ચે સવારે 10થી 4 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.

ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ

PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોસિયલ મિડિયામાં ગેરમાર્ગે દેરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.

પરીક્ષાઓમાં ગેરરીતિમાં દોષિત વ્યક્તિને ત્રણ વર્ષની સજા 

મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂપિયા બે લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.


Google NewsGoogle News