Get The App

ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયો ચીરીને બનાવાશે દેશનો સૌથી લાંબો બ્રિજ, લાખો લિટર ઇંઘણ અને સમય બચશે

Updated: Nov 11th, 2024

GS TEAM


Google News
Google News
Gujarat
Image : 'X'

Ministry of Road Transport and Highways-Bharatmala Project For Gujarat : ગુજરાતમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સુરત જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર છે. જેમાં મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે અને ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતને બે પ્રોજેક્ટ મળ્યા છે. 

સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવું સરળ બનશે

ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ 316 કિ.મી. લાંબો નેશનલ હાઇવે તૈયાર કરાશે. જેમાં 248 કિ.મી. લાંબો ફોર અથવા સિક્સ લેન હાઇવે જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધી તૈયાર કરાશે. જ્યારે અન્ય પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી 68 કિ.મી. લાંબો ફોર અને સિક્સ લેન હાઇવે તૈયાર કરાશે. હાઇવે બનવાથી જામનગરથી માત્ર ચાર કલાકમાં અને સુરતથી માત્ર પાંચ કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. 

દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનાવાશે

આ પ્રોજેક્ટ હેઠળ દરિયામાંથી દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે. આ તૈયાર થઈ જાય પછી માત્ર એક જ કલાકમાં ભાવનગરથી ભરૂચ પહોંચી શકાશે. 

લાખો લિટર ઇંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે

આ પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ ઍન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. જે મંજૂર થતાં રોજનું લાખો લિટર ઇંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે. સૌરાષ્ટ્ર એટલે કે જામનગરથી સુરત જવા માટે 527 કિ.મી. બગોદરા કે વડોદરા થઈને જવું પડે છે પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ જામનગરથી ભરૂચનો હાઇવે તૈયાર થતાં 135 કિ.મી. જેટલું અંતર ઘટશે. આ સાથે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિ.મી.નું અંતર 117 કિ.મી.નો ઘટાડો થશે. જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતાં હાલ 627 કિ.મી. અંતરમાં 215 કિ.મી. ઘટાડો થવાથી માત્ર 412 કિ.મી. જેટલું થશે.

આ પણ વાંચો : કચ્છમાં યોજાતા રણોત્સવ માટે દોડાવાશે ખાસ ટ્રેન, નોંધી લો ટ્રેનોના દિવસ અને સમય

જ્યારે ભાવનગરથી સુરત જવા માટેના 357 કિ.મી. અંતરમાંથી 243 કિ.મી. અંતર ઘટી જતાં માત્ર બે કલાકમાં ભાવનગરથી સુરત પહોંચી શકાશે.

Tags :