સોમનાથમાં આવેલું વિશિષ્ઠ નંદી ધરાવતું પ્રાચીન હાટકેશ્વર મંદિર
નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનો કાલે પ્રાગટયોત્સવ : નંદીનું મુખ શિવલિંગ તરફ હોવાના બદલે જમણી તરફ નીચેની બાજુ વળેલી હાલતમાં સ્કંદપુરાણના નાગર ખંડમાં આ અંગે સવિસ્તર કથા આલેખાઈ છે
પ્રભાસપાટણ, : ચૈત્ર સુદ ચતુર્દશી એટલે ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવનો પ્રાગટય ઉત્સવ. શિવ મંદિરોમાં નંદી એટલે કે પોઠીયાની પ્રતિમાનું મુખ હંમેશા શિવ તરફ જ હોય છે અને તે રીતે પ્રતિષ્ઠિત પણ કરાય છે. પરંતુ સોમનાથ-પ્રભાસ-પાટણમાં મેઈન બજાર જતા રસ્તે ઠાકોર મંદિર પરિસર પટાંગણમાં આવેલાં પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના નંદીની વિશિષ્ટતા એ છે કે તેની પ્રતિમાનું મુખ શિવલિંગ તરફ નહીં બલ્કે જમણી બાજુ મુખ નીચે વળેલી હાલતમાં છે. આમ કેમ છે તેનો કોઈ ઈતિહાસ તો મળતો નથી પરંતુ સૌ પોતાના ભાવ મુજબ અનુમાન કરે છે. કેટલાક કહે છે કે નંદી પરિવારમાં જેમ સ્નેહથી કોઈ સભ્ય રીસાય તેમ રીસાયેલ છે. તો કોઈના મતે તે કાળના શિલ્પીની પોતાની કલ્પનાકલા મુકી હોઈ શકે. શ્રી હાટકેશ્વર પ્રાગટય દિવસની વેરાવળ વડનગરા જ્ઞાાતિ ટ્રસ્ટ દ્વારા તા. 11ના ઉજવણી થશે. તેમાં સવારે 10.30 વાગ્યે ઈષ્ટદેવ પૂજન, 1 વાગ્યે રાજભોગ થાળ સાંજે 3.30 વાગ્યે સાયં આરતી યોજાશે. જયારે પ્રભાસ પાટણમાં સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાશે.