હજીરા-ઘોઘા રો-રો ફેરીમાંથી કાપડ વેપારી દરિયામાં પડયો, બચાવી લેવાયો
- જહાજના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફે દરિયામાં કુદીને રેસ્ક્યુ કરીને મધ્યપ્રદેશના અતુલ ચોક્સીને બચાવી લીધો
સુરત, :
હજીરા-ઘોઘા વચ્ચે વચ્ચે ચાલતી રો-રો ફેરીના જહાજમાંથી આજે સવારે ભાવનગરથી સુરત આવતો મધ્યપ્રદેશનો કાપડ વેપારી દરિયામાં પડી ગયો હતો. જોકે જહાજના ક્રૂ મેમ્બર અને સ્ટાફે દોડીને દરિયામાં છલાંગ મારીને રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધો હતો.
પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મધ્યપ્રદેશમાં રહેતો ૩૨ વર્ષીય અતુલકુમાર માણેકલાલ ચોકસી આજે રવિવારે સવારે ઘોઘાથી હજીરા આવતી રો-રો ફરી જહાજમાં બેસીને સુરત આવવા નીકળ્યા હતા. તે સમયે હજીરા પહોંચતા પહેલા દરિયામાં ૧૧ નોટિકલ માઈલ ખાતે તે રહસ્યમય સંજોગોમાં જહાજમાંથી દરિયામાં પડી ગયો હતો. જેથી ત્યાં હાજર લોકોએ બુમો પાડતા તરત ક્રુ-મેમ્બર સહિતનો સ્ટાફ દોડી ગયો અને સેવિંગ લાઇફ ઇન્સ્ટ્મેન્ટ, રીંગ, દોરડું, લાઇફ જેકેટ દરિયામાં ફેંકીને પાણીમાં કુદી પડયા હતા અને વેપારીને રેસ્કયુ કરીને બચાવીને સહી સલામત બહાર કાઢ્યો હતો. આ અંગે હજીરા પોલીસને જાણ કરતા ત્યાં ધસીને તેની કાઉન્સીલિગ કરીને પુછપરછ કરી હતી. જેમાં તેણે હજીરા પોલીસને કહ્યુ કે, અચાનક તબિયત બગડતા ચક્કર આવતા દરિયામાં પડી ગયો હતો. તે કાપડનો ધંધો કરતો હોવાથી ભાવનગર ખાતે કાપડના કામ અર્થે ગયો હતો અને ત્યાંથી સુરત આવવા નીકળ્યો હતો. જોકે તેની તબિયત સારી હોવાનું પોલીસે કહ્યુ હતું.