જામકંડોરણામાં લુખ્ખા તત્વોનો આતંક, પોલીસ કાર્યવાહી નહીં કરે તો ગૃહમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી
અસામાજિક તત્વો ઘાતક હથિયારોથી લોકો ઉપર હુમલો કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો
રાજકોટઃ (Jamkandorna)જામકંડોરણાના સોડવદર ગામમાં વારંવાર અસામાજિક તત્વો હેરાનગતી કરતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ છે. ગ્રામજનોએ આ ફરિયાદમાં અસામાજિક તત્વો ઘાતક હથિયારોથી લોકો ઉપર હુમલો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. (police)બીજી તરફ ગ્રામજનો દ્વારા જો પોલીસ અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે તો (crime news)ગૃહમંત્રી સુધી રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
માથાભારે તત્વોના ત્રાસથી છૂટકારો અપાવવા માંગ
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામકંડોરણાના સોડવદર ગામમાં અવારનવાર મારામારી કરતા માથાભારે તત્વો સહિત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઘાતક હથિયારોથી ખેડૂતોને રંઝાડતા લોકો સામે સ્થાનિક પોલીસ સામે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ હતી. સોડવદર ગામના ગ્રામજનોએ રાજકોટ એસપી કચેરીમાં આવેદનપત્ર આપીને માથાભારે તત્વોના ત્રાસથી છૂટકારો અપાવવા માંગ કરી હતી.
જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
25 ઓક્ટોબરના રોજ સોડવદર ગામમાં સરપંચની ચૂંટણી મામલે થયેલ ઝઘડાની અદાવત રાખી અતુલભાઈ આલોદરિયા ઉપર છ શખ્સોએ હુમલો કર્યો હતો. બેભાન થઈ ગયેલા અતુલભાઈને 108 મારફતે પ્રથમ ધોરાજી અને બાદમાં જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ બાદ ગ્રામજનોએ વિરોધ નોંધાવતા એસપીને રજુઆત કરી હતી કે, આરોપી તત્વો અવારનવાર માથાકૂટ, ઝઘડા, બોલાચાલી કરે છે. ઉપરાંત ગામમાં દારૂનો ધંધો પણ કરે છે, આ તત્વોનો એવો ત્રાસ છે કે, ગૌચર, ખરાબાની જમીન કબ્જે કરી લીધી છે. આરોપીઓ ખેડૂતોને પણ કાંપ ન કાઢવા દઈ ખોટી રીતે રંઝાડે છે. આ અંગે જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.