બંધારણ દિવસની ઉજવણી કરવા સાથે-સાથે સુરત પાલિકાએ 76માં પ્રજાસત્તાક દિનની વરાછા ઝોન-બી ઝોનમાં ઉજવણી કરી
Surat Republic Day Celebration : સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ 26 જાન્યુઆરીએ બંધારણ દિવસની ઉજવણી કરવા સાથે સાથે વરાછા બી ઝોનમાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. જેમાં ધ્વજવંદન કાર્યક્રમ, સન્માન સમારોહ અને દેશભક્તિ આધારિત ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મેયરે શહેરની વિવિધ સિધ્ધિઓ વર્ણવા સાથે સાથે મહાનગરપાલિકાના નવા આઇકોનિક મુખ્ય વહીવટી ભવન ની કામગીરી જાન્યુઆરી-2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવું કહ્યું હતું.
સુરતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન સવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ બેન્ડ મધુર ધૂન અને દેશભક્તિના નારા સાથે પ્રભાતફેરી સ્વરૂપે ધ્વજ વંદન સમારોહમાં જોડાયા હતા. રાષ્ટ્ર ભક્તિ સભર વાતાવરણ ઉભું થઈ ગયું હતું. ધ્વજ વંદન કર્યા બાદ શહેરના મેયર દક્ષેશ માવાણીએ સુરતીઓને સંબોધ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, વર્ષ-2015માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ 26 નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો ત્યારથી દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.
તેઓએ લોકોને સુરત પાલિકા અને શહેરના વિકાસની માહિતી આપતા કહ્યું હતું, નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન માં બનાવ્યો છે. આ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 06 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સુરતનું નામ મોખરે છે. સુરત મિની ભારત તરીકે ઓળખાય છે, કારણકે દેશના તમામ રાજ્યમાંથી આવીને અહીં લોકોએ વસવાટ કર્યો છે. વિકસિત ભારતના નિર્માણમાં "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ" સાથે સાતત્યપૂર્ણ નેતૃત્ત્વ લઈને સુરત આગળ ધપી રહ્યું છે.
રૂફટોપ સોલાર પ્રસ્થાપિત કરવાની બાબતમાં આગામી દિવસોમાં સુરત "સોલાર સીટી" તરીકે દેશમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. સુરત મહાનગરપાલિકા પેપરલેસ બજેટ રજુ કરનારી ગુજરાતની સૌપ્રથમ પહેલ કરનારી મહાનગરપાલિકા છે. સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે, જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સહિત આર્ટસ, કોમર્સ, સાયન્સ એમ ત્રણેય પ્રવાહમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપી રહી છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, અત્યાધુનિક સુવિધાઓ સાથે દેશની સૌથી ઉંચી નાગરિક કેન્દ્રીય સરકારી ઈમારત બનવા જઈ રહેલા સુરત મહાનગરપાલિકાના નવા આઇકોનિક મુખ્ય વહીવટી ભવન ની કામગીરી જાન્યુઆરી-2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળા સેલ દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધામાં પ્રથમ વિજેતાઓને ટ્રોફી તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ શહેરના રમતવીરોને સન્માન પત્ર અને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગ ઘ્વારા વિવિધ આધુનિક મશીનો, ટેકનીકો અને અવનવી સર્વીસીસ ઘ્વારા અપાતી સેવાનું લાઇવ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.