સુરતમાં યુવતી સહિત વધુ બે વ્યક્તિના એકાએક મોત
- કતારગામમાં 24 વર્ષીય યુવતીનું વોમીટ થયા બાદ પુણાની માર્કેટમાં દુકાનમાં ચકકર આવ્યા બાદ ૩૯ વર્ષના યુવાનનું મોત
સુરત :
સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે કતારગામમાં ઉલ્ટી થયા બાદ ૨૪ વર્ષીય યુવતી અને પુણાની માર્કેટમાં આવેલી દુકાનમાં ચક્કર આવ્યા બાદ ૩૯ વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં પારસ સોસાયટી પાસે આનંદ કોમ્પ્લેક્ષમાં રહેતી ૨૪ વર્ષીય મમતા મોહન પોનીકર સોમવારે સાંજે ઘરમાં અચાનક ઉલ્ટી થતા બાદ પેટમાં દુઃખાવો થયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે મમતાને બે બહેન અને એક ભાઇ છે. તેના પિતા લેસપટ્ટીનું કામ કરે છે. બીજા બનાવમાં ગોડાદરામાં જલારામનગરમાં રહેતો ૩૯ વર્ષીય જયનાથ દેવકાંત ઝા ગત તા.૧૯મીએ સાંજે પુણા રોડ સરદાર માર્કેટ પાસે એન.એસ.ટી.એમ માર્કેટમાં કુટીની દુકાનમાં કામ કરતો હતો. તે સમયે તેને અચાનક ગભરામણ થતા ચક્કર આવ્યા હતા.બાદમાં તે બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. તે મુળ બિહારના મધુબનીનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે દુકાનમાં નોકરી કરતો હતો.