Get The App

બનાસકાંઠા અને તાપીના રમીલાબેનની કહાણી: આદિવાસી ભોજન પીરસતી રેસ્ટોરન્ટનું ટર્નઓવર ₹41 લાખ

Updated: Mar 7th, 2025


Google News
Google News
બનાસકાંઠા અને તાપીના રમીલાબેનની કહાણી: આદિવાસી ભોજન પીરસતી રેસ્ટોરન્ટનું ટર્નઓવર ₹41 લાખ 1 - image


Lakhpati Didi Success Story : ‘સખીમંડળના લીધે અમને જીવવા માટે ઓક્સિજન મળ્યો...’ આ શબ્દો છે બનાસકાંઠાના અલવાડાના રહેવાસી રમીલાબેન મુકેશભાઈ જોશીના. તેમણે 2024માં દીવાની દીવેટ બનાવવાની કામગીરી શરૂ કરીને માત્ર એક વર્ષમાં ₹ 1 લાખથી વધુની આવક મેળવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરાઈ હતી. વર્ષ 2027 સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. ગુજરાતની  1.50 લાખ જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’  બની છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024માં કહ્યું હતું કે, ‘લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે.’ સમગ્ર દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સામે ગુજરાત 10 લાખ લખપતિ દીદીના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે.  

કઈ રીતે કામ કરે છે લખપતિ દીદી યોજના?

આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે, જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. આ માટે સરકાર દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા અપાય છે, જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી માટે નીચે પ્રમાણે આવક ગણતરી કરાય છે. 

• કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાન કુલ આવક.

• નોન ફાર્મ એક્ટિવિટી જેવી કે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, સર્વિસીઝ વગેરેની આવક. 

• પરિવારમાં કોઈ વ્યક્તિ  નોકરી કરતા હોય તો તેની આવક. 

• ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક. 

• સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલી રકમ.

• કમિશન, માનદ વેતનથી પ્રાપ્ત આવક.

 ગુજરાતમાં 7.9 લાખથી વધુ મહિલાઓની નોંધણી

ગુજરાતમાં 7,98,333 મહિલાઓની આ યોજના અંતર્ગત નોંધણી કરવામાં આવી છે. તેમાંથી 7,66,743 મહિલા કૃષિ આધારિત રોજગારમાં સંકળાયેલી છે અને અન્ય મહિલા બિન-કૃષિ ક્ષેત્રો જેવા કે હસ્તકળા, ઉત્પાદન, સેવાઓ અને અન્ય નાના વ્યવસાયોમાંથી આવક મેળવી રહી છે. 

આદિજાતિ જિલ્લામાં 30 હજારથી વધુ લખપતિ દીદી

ગુજરાતમાં આ યોજના અંતગર્ત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ તેમના કૌશલ્યથી આગળ વધી રહી છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 1,06,823 મહિલાઓની ઓળખ કરવામાં આવી છે અને  30,527 મહિલાઓની આવક એક લાખથી વધુ થઇ ગઇ છે. 

તાપીમાં વનશ્રી રેસ્ટોરન્ટનું ટર્નઓવર ₹ 41 લાખને પાર

તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કરંજવેલ ગામમાં રમીલાબેન પરષોત્તમભાઈ ગામિત દ્વારા દસ સખીમંડળની બહેનો સાથે વનશ્રી રેસ્ટોરન્ટનું સંચાલન કરવામાં આવે છે.  સરકાર દ્વારા તેમને રેસ્ટોરન્ટ માટે જગ્યા અને સાધનસામગ્રી આપવામાં આવી હતી. રમીલાબેનના જણાવ્યા અનુસાર, ‘અમે ચાર વર્ષથી આ રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ અને અમને કરિયાણું અને અન્ય જરૂરી સામાન માટે ₹ 50 હજારની લોન મળી હતી. અત્યાર સુધીમાં અમે તે લોનની ભરપાઈ પણ કરી દીધી છે. પરંપરાગત આદિવાસી વાનગીઓ અમે જમાડીએ છીએ અને દર મહિને સાડા ત્રણથી ચાર લાખની આવક થાય છે. વર્ષ 2023માં અમારું ટર્નઓવર 40 લાખ હતું જે 2024માં 41 લાખ 88 હજાર જેટલું થઇ ગયું છે. આ કામગીરી માટે અમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવક વધવાથી અમારા પરિવારને ઘણો ફાયદો થયો છે.’

124 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 10 હજારથી વધુ લોકોને તાલીમ

આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્ત્વના પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરાઈ છે, જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે.  આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજિટલ આજીવિકા રજિસ્ટર પર ડેટા અપડેટ કરાય છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે. 




Tags :
BanaskanthaTapiLakhpati-DidiSuccess-Story

Google News
Google News