વડોદરા: તારીખ 18 અને 19 ના રોજ સ્ટેશન મહોત્સવ ઉજવાશે
ઐતિહાસિક ડભોઇ અને પ્રતાપ નગર સ્ટેશનને અને હેરિટેજ રેલ એન્જિન ઉપર આકર્ષક લાઇટિંગ કરાશે
પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોના ઇતિહાસની ઝલક આપવા અને સ્થાનિક લોક સંસ્કૃતિ, સ્વચ્છતા જનજાગૃતિ અને તેમની ભાગીદારી દર્શાવવા માટે "સ્ટેશન મહોત્સવ" યોજના શરૂ કરવામાં આવી છે. આ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ઐતિહાસિક ડભોઈ અને પ્રતાપનગર સ્ટેશનો પર તારીખ 18 અને 19 ઓક્ટોબરના રોજ “સ્ટેશન મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરના જણાવ્યા અનુસાર ડિવિઝનના ડભોઇ અને પ્રતાપનગર સ્ટેશનનો પોતાનો ભવ્ય ભૂતકાળ છે. આ ભૂતકાળના ગૌરવને દર્શાવવા માટે આ સ્ટેશનો પર "સ્ટેશન મહોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન, આ સ્ટેશનો પર ગૌરવપૂર્ણ ઈતિહાસ દર્શાવતા પ્રદર્શનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે .જેમાં પોસ્ટરો, વોલ પેનલ્સ, હેરિટેજ કલાકૃતિઓ અને ડિજિટલ સ્ક્રીન દ્વારા સામાન્ય દર્શકો સાથે રસપ્રદ માહિતી શેર કરવામાં આવશે.
આ પ્રદર્શન ઉક્ત તારીખે સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી તમામ મુલાકાતીઓને નિહાળવા માટે નિ:શુલ્ક ખુલ્લું રહેશે. આ ઉપરાંત, સ્થાનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેમ કે સ્થાનિક નૃત્યો અને શેરી નાટકોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.શાળાના બાળકો પણ પેન્ટીંગ /ડ્રોઈંગ સ્પર્ધા દ્વારા તેમાં ભાગ લેશે. આ સમય દરમિયાન, સ્ટેશનની ઇમારતો અને હેરિટેજ રેલ એન્જિનો પર આકર્ષક લાઇટિંગ નું સુશોભન કરવામાં આવશે.