'કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો', પહલગામ આતંકી હુમલા મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન
Dwarka News : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પહલગામની ઘટનાને લઈને આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આતંકી હુમલાને લઈને 'કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો...' તેવુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ નિવેદન આપ્યું હતું.
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ શું કહ્યું?
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પહલગામ આતંકી હુમલા મામલે કહ્યું હતું કે, 'આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને જ એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્યમાં રાખીને તેમની હત્યા કરી છે. આતંકવાદને ધર્મની સાથે જોડવામાં આવે છે. આતંકવાદીઓનું તો એક જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતા યુગમાં રાવણનો આ ધર્મ હતો, દ્વાપરમાં કંસનો આ ધર્મ હતો. જ્યારે કલયુગમાં આતંકવાદીઓ રાવણ અને કંસના રૂપમાં આપણી રાષ્ટ્રિયતાને નુકસાની પહોંચાડી રહ્યા છે. એકજૂથ થવાની આવશ્યક્તા છે. '
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આપણા દેશની ત્રણેય સેના એટલી સશક્ત છે કે, યુદ્ધ કરવાની કોઈની હિંમત નથી. આવા પ્રકારના આતંકી હુમલામાં આપણી એકતા જ તેનો ઉત્તર છે. આમ તમામ હિન્દુએ રાજનીતિથી ઉપર ઊઠીને એક થવું જોઈએ. આપણને સ્વતંત્રતાનો અધિકાર છે, ત્યારે ધર્મ પાલનની પણ સ્વતંત્રતા પણ હોવી જોઈએ. જ્યારે મુસ્લિમોએ હાલ આતંકવાદ વિરુદ્ધમાં બોલીને પોતાની ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો...'