વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
image : Filephoto
Vadodara : વડોદરાના માંજલપુર જનસેવા કેન્દ્રમાં એજન્ટો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે એજન્ટો સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
સરકારી કચેરીમાં આવતા નાગરિકો પાસેથી આર્થિક લાભ લઇ અથવા તો તેમને લાલચ આપી ગોળગોળ ફેરવવાના કિસ્સાઓ વધતા પોલીસ કમિશનર દ્વારા સરકારી કચેરીઓમાં એજન્ટ માટે પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. દરમિયાન ગઈકાલે સાંજે 5:00 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં મહિલા એજન્ટ સરજુએ ફોન કરીને જાણ કરી હતી કે હું મામલતદાર કચેરીમાં એજન્ટનું કામ કરું છું અને બીજા માણસો મારી સાથે માથાકૂટ કરે છે. પાંચ મિનિટ પછી હરીશભાઈએ કંટ્રોલ રૂમમાં જાણકારી હતી છે સરજુબેન સાથે કેટલાક લોકો ઝઘડો કરે છે. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે સરજુબેન હાજર હતા જ્યારે અન્ય લોકો રવાના થઈ ગયા હતા સરજુબેનને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે હું તથા મારો ભાઈ હરીશ અને અન્ય વ્યક્તિઓ માંજલપુર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટ તરીકે કામ કરીએ છીએ. જેથી પોલીસે સરજુબેન તથા હરીશભાઈ અને અન્ય એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.