મુસાફરી માટે પૂરતી બસો નથી અને સરકાર હવે જાન લઈ જવા વોલ્વો ભાડે આપસે
ગાંધીનગર, તા. 20 સપ્ટેમ્બર 2018, ગુરૂવાર
લગ્ન પ્રસંગે જાનૈયાઓને મુસાફરી કરાવવા માટે વિશેષ વોલ્વો બસ સેવાનો આજથી સરકારે પ્રારંભ કર્યો છે.
આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીના હસ્તે આ બસ સેવાનુ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. લોકો જાનમાં ઘણી વખત જાનૈયાઓ માટે ટ્રેક્ટર અને બીજા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જતી હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે 15 જેટલી વોલ્વો બસ ખાસ લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે ભાડે આપવાનુ નક્કી કર્યુ છે. આ બસને લગ્ન પ્રસંગની થીમ પ્રમાણે પેઈન્ટ પણ કરવામાં આવી છે. નવી વોલ્વો બસમાં પુશબેક સીટ સહિતની વિવિધ સુવિધા હશે.
બીજી તરફ સોશિયલ મીડિયામાં સરકારના આ નિર્ણયને લઇને આકરી ટીકા થઇ છે. એક તરફ જ્યાં મુસાફરી માટે પૂરતી બસો નથી ત્યાં સરકાર હવે જાન લઈ જવા વોલ્વો ભાડે આપસે...
આઝાદીના 72 વર્ષ બાદ રાજ્યના અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓએ મોતની સવારી કરીને અભ્યાસ માટે જવું પડે છે.
ઉલ્લેખનીય છે કે 13 જુલાઇ 2018ના રોજ અમદાવાદના રાણીપ ખાતે એસટી નિગમ દ્વારા પીપીપી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ થયેલી નવી મધ્યસ્થ કચેરીને ખુલ્લી મૂકતી વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગ્ન પ્રસંગે આવન-જાવન માટે ST બસો વાજબી ભાડે મળશે એવી જાહેરાત કરી હતી.
તે સમયે જાહેરાત કરી હતી કે હવેથી લગ્ન પ્રસંગે ખાનગી બસોના વિકલ્પે કિફાયતી દરે એસટી બસ સેવા ઉપલબ્ધ થશે. 20 કિલોમીટર સુધી આવન-જાવનના ફેરા માટે રૂ. 1200 અને એક ફેરો હોય તો, રૂ. 700ના નજીવા દરે એસટીની બસ સેવા ઉપલ્બધ થશે.
જો 40 કીમી સુધી આવન-જાવનના ફેરા માટે રૂ.2000 અને એક ફેરા માટે રૂ. 1200 ચૂકવવાના થશે. 60 કીમી સુધીના આવન-જાવનના ફેરા માટે રૂ. 300 તથા એક ફેરા માટે રૂ. 1500 ચૂકવવાના રહેશે.