ભાવનગર ડિવિઝનમાં દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
- રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે
- વેરાવળ-રાજકોટ ટ્રેન આજે સાંજે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી ઉપડશે : સોમવાર અને મંગળવારની વેરાવળ-રાજકોટ-વેરાવળ રદ્દ
ભાવનગર : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.
આ અસરગ્રસ્ત ટ્રેનોમાં જુદીજુદી ત્રણ ટ્રેનનો સમાવેશ થાય છે. જેમાં વેરાવળથી તા.૮-૨-૨૦૨૫ના રોજ પ્રસ્થાન થનારી વેરાવળ-રાજકોટ પેસેન્જર (૫૯૪૨૪) તેના નિર્ધારિત સમયથી ૨ કલાક રીશેડયુલ કરવામાં આવશે એટલે કે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય ૧૭ કલાકને બદલે ૧૯ કલાકે ઉપડશે.
તો તા. ૧૦-૨-૨૦૨૫ ના રોજ વેરાવળથી ચાલતી વેરાવળ-રાજકોટ પેસેન્જર (૫૯૪૨૪) સંપૂર્ણપણે રદ કરાઈ છે. એ જ રીતે તા. ૧૧-૨-૨૦૨૫ ના રોજ રાજકોટથી ચાલતી રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેન (૫૯૪૨૩) પેરિંગ રેકના અભાવે સંપૂર્ણપણે રદ રહેશે.