સચિન GIDCમાં એથર ઇન્ડસ્ટ્રીઝની આગમાં ભડથું થયેલા સાત હાડપિંજર મળ્યા

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
સચિન GIDCમાં એથર ઇન્ડસ્ટ્રીઝની આગમાં ભડથું થયેલા સાત હાડપિંજર મળ્યા 1 - image


- સર્ચ-રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ભડથું લાશો મળતા એરરાટી ઃ ત્રણની ઓળખ થવાની શક્યતા, અન્યોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ થશે

- મંગળવારે મોડીરાતે કંપનીની કેમિકલ સ્ટોરેજ ટેન્ક પાસે બે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને ખૂબ જ ઝડપી ફેલાઇ જતા ૨૬ દાઝી ગયા હતા અને ૭ ગૂમ થયા હતા

સુરત,:

સુરત નજીક સચિન જીઆઈડીસી ખાતે એથર ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારે મોડી રાત્રે  ભીષણ આગ લાગવાની ઘટનામાં સર્ચ અને રેસક્યુ ઓપરેશન દરમિયાન આગમાં ભડથું  થયેલા સાત કામદારોના હાડપિંજર મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનામાં ૨૬ કામદારો અને કર્મચારીઓ દાઝી ગયા હતા. જ્યારે સાત ગૂમ થયેલા હતા. ચોવીસ કલાકની સર્ચમાં તેમના ભડથું મૃતદેહો મળતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

નવી સિવિલ અને ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગતો મુજબ, મંગળવારે રાત્રે સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારે મોડી રાતે કેમિકલ ટેન્કમાં સંભવતઃ લીકેજ થતાં એક પછી એક બે પ્રચંડ વિસ્ફોટ થયા હતા. ત્યાબાદ આગ ફાટી નીકળી હતી અને ખૂબ જ ઝડપથી ફેલાઇ ગઇ હતી. આ વેળા અહી ફરજ બજાવી  રહેલા ૧૫૦ પૈકી ૨૬ કર્મચારી-કામદારો દાઝી જતા અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.  ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સહિત લાશ્કરો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. સચિન સહિત આસપાસની કંપનીઓની પાંચ ફાયર ગાડી પણ પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડે ૩ લાખ લિટર પાણી અને બે હજાર લિટર ફોર્મનો મારો ચલાવી દસ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે કૂલીંગની કામગીરી બારેક કલાક સુધી આજે વહેલી સવાર સુધી ચાલી હતી.

દરમિયાન આજે સવારે સર્ચ દરમિયાન એકસાથે સાથે સાત માનવ હાડપિંજર મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાતે દુર્ઘટના બાદ દિવ્યેશ કુમાર પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત કુમાર મિર્શ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનિલ કુમાર અને અભિષેક સિંગ ગૂમ થયેલા હતા. તે અંગે પોલીસે નોંધ પણ કરી હતી. આ તમામ ભડથું થયેલા મૃતદેહોને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારના સભ્યો નવી સિવિલ દોડી આવ્યા હતા.

સચિન જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઇ જે.આર ચૌધરીએ કહ્યુ કે ધમેન્દ્ર સહિત ત્રણેકની પ્રાથમિક તપાસમાં ઓળખ થવાની શકયતા છે. જયારે બાકીના તમામના ડી.એન.એ તેમના પરિવારના સભ્યો સાથે મેચ કર્યા બાદ ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેમના પરિવારોને મૃતદેહો સોંપાશે.

 - ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ : ચારના દાઝી જવાથી મોત, ત્રણના મોતના કારણ પેન્ડિંગ

નવી સિવિલમા ફોરેન્સીક વિભાગના વડા ડો. ચંન્દ્રેશ ટેલરે કહ્યુ કે, ફોરેન્સીક વિભાગમાં ચાર સિનિયર અને ૩ રેસીડન્સી ડોકટરો મળી સાત ડોકટરો પોસ્ટમોર્ટમ પેનલમાં ૩થી૪ કલાકના સમયમાં કરવામાં આવ્યા હતા. જેમાં ચાર વ્યકિતના દાઝી જવાથી મોત થયુ હતુ. જયારે ત્રણ વ્યકિતના મોતનું કારણ પેન્ડીંગ રાખવામાં આવ્યુ હતુ. જેમાં એક વ્યકિતના મોટા ભાગનો માંથાનો ભાગ ન હતો અને તે ભડથું થઇ ગયો હતો અને બીજો બે પણ વધુ ભડથું થઇ ગયુ હતુ. જયારે ડી.એન.એ, લોહી સહિતના સેમ્પલો લેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ અને ઓળખ થશે.

 - સંતોષના પગમાં કડું નહી હોવાથી ઓળખ થઇ શકી નહી

મુળ મધ્યપ્રદેશના સંતનાનો વતની અને અને હાલમાં સચીનમાં રામેશ્વર કોલોનીમાં રહેતો ૪૫ વર્ષીય સંતોષ બિહારીલાલ વિશ્વકર્મા છેલ્લા દોઢ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલો હતો. જોકે સંતોષ વિશ્વકર્માનું  છેલ્લા ૨૪ કલાકથી ગાયબ હોવાથી તેના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને અંતે આજે સવારે કંપનીમાંથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તે પગમાં કડુ પહેરતો હતો. પણ તેના પગમાં કડું નહી હોવાથી તેના પરિવારના તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી. તેને સંતાનમાં  એક પુત્ર અને એક પુત્રી છે.

 

- પતિનો મૃતદેહ જોઈને પત્ની બેભાન થઇ ગઇ

 મુળ મધ્ય પ્રદેશના વતની અને છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ ૪૦ વર્ષીય સનતકુમાર મિશ્રા દિવાળીના વેકેશનમાં વતન ગયા હતા અને ત્યાંથી જ તેઓએ કંપનીમાં પોતાના અન્ય મિત્રના સહયોગથી નોકરી માટે ફોન કર્યો હતો. કંપનીમાં નોકરી કન્ફર્મ થયા બાદ દિવાળીમાં વતનથી પરત ફર્યા બાદ માત્ર ત્રણ દિવસ પહેલાં જ તેઓ નોકરીએ લાગ્યા હતા. જોકે તે સુરતમાં પત્ની અને બે પુત્રી સાથે રહેતા હતા. જોકેસિવિલ ખાતે તેનો મૃતદેહ ઓળખ કરાવવા માટે પત્નીની ગઇ હતી. ત્યારે પત્ની પણ બેભાન થઈ ગઈ હતી.

 - ધમેન્દ્ર યાદવ પાસેથી પાકિટ મળતા ઓળખ થવાની શકયતા

મુળ ઉતરપ્રદેશના ચિત્રકુટનો વતની અને હાલમાં સચીન રામેશ્વર કોલોનીમાં રહેતો ૨૧ વર્ષીય ધમેન્દ્ર નરેન્દ્ર યાદવનો મૃતદેહ સિવિલ ખાતે ખસેડાયો હતો. બાદમાં તેની પાસે મળલા પાકિટમાં આધાર કાર્ડ સહિતના જરૃરી કાડ સહિતના કાગળો મળ્યો હતો. જેના આધેરે તેની ઓળખ થવાની શકયતા છે. જોકે તે અઢી વર્ષથી ત્યાં કામ કરતો હતો. તેનો એક ભાઇ છે.

- સુનિલ વર્મા બે દિવસ પહેલાં જ ફરી નોકરીએ જોડાયો હતો

મુળ ઉત્તરપ્રદેશના ચિત્રકુટના વતની અને હાલમાં સચીનમાં રહેતો ૨૨ વર્ષીય સુનિલ વર્મા બે દિવસ પહેલાં જ સુરત પરત ફર્યો હતો. અને તે રાબેતા મુજબ ફરી કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. જોકે, દિવાળીની રજાઓમાં પરિવારજનો સાથે ગાળેલી દરેક પળ તેના માટે અંતિમ બની રહેશે. જોકે તેના પરિવારના સભ્યોએ કહ્યુ કે તેના બ્લટ આધારે તેની ઓળખ થવાની શકયતા છે.

 દિવ્યેશ પટેલની વીટી અને બેલ્ટના આધારે ઓળખની આશા

નવસારીમાં જલાલપોરમાં ચિજગામમાં રહેતો ૩૯ વર્ષીય દિવ્યેશ નરસિંહ પટેલ પરિવારે મૃતદેહ જોયો હતો. જેથી તેમની વિટી અને બ્લેટના આધારે ઓળખ થઇ શકે છે. એવુ તેના પરિચિતે કહ્યુ હતુ.  તેને એક સંતાન છે. તે લાંબા સમયથી ત્યાં ઓપરેટ તરીકે નોકરી કરતો હતો.


Google NewsGoogle News