સુરતમાં દીક્ષા લેનાર મુંબઈના સંઘવી પરિવારના સચિન તેંડુલકર સાથે પરિવારિક સંબંધ હોવાથી તેમને પણ નિમંત્રણ અપાયું

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News
સુરતમાં દીક્ષા લેનાર મુંબઈના સંઘવી પરિવારના સચિન તેંડુલકર સાથે પરિવારિક સંબંધ હોવાથી તેમને પણ નિમંત્રણ અપાયું 1 - image


સુરત : શહેરમાં ૭૫મી સામૂહિક દીક્ષા મહોત્સવને જૂજ દિવસો બાકી છે. આ દીક્ષા મહોત્સવમાં મુંબઈ મેટલના ઉદ્યોગપતિ સહ પરિવાર સાથે દીક્ષા લેનાર છે ત્યારે આ સંઘવી પરિવારનો સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાથી તેમને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સુરતમાં ૨૯ નવેમ્બરના રોજ યોજાનારા દીક્ષા સમારોહમાં દીક્ષાર્થીઓ વ્યવસાય, સંબંધો અને સંપત્તિનો ત્યાગ કરીને સંયમના માર્ગ તરફ પ્રયાણ કરશે. જેમાં મુંબઇ મેટલના ઉદ્યોગપતિ મુકેશ સંઘવી તેમના સહ પરિવાર સાથે દીક્ષા લેશે. સંઘવી પરિવારના સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાના કારણે તેમને આ દીક્ષા મહોત્સવમાં આવવાં માટે નિમંત્રણ અપાયું છે. જેથી સચિન તેંડુલકર સુરત આવવાની ચર્ચા એ જોર પકડ્યું છે. મુકેશ શાંતિલાલ સંઘવી મૂળ સાંચોરના રહેવાસી છે અને અત્યારે મુંબઈમાં પોશ એરિયામાં રહે છે. સાંચોરના અતિ ધનાઢ્ય શાંતિલાલજીના ત્રણ પુત્રોમાંના એક પરિવારે પાર્શ્વશાંતિધામમાં વિશાળ જૈન તીર્થની રચના કરી છે. તેઓ મેટલનાં બીઝનેસ સાથે સંકળાયેલા છે.દિવાળીના દિવસે સંઘવી પરીવાર દ્વારા સાચોર શહેરમાં ભવ્ય વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચંદ્ર તથા સૂરિશાન્તિચંદ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મના મહાનાયક, સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યની વાણીના પ્રભાવે થનાર ૭૫મી સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.


Google NewsGoogle News