સુરત પાલિકાના અઠવા ઝોનમાં 150થી વધુ ઝુંપડાના ડિમોલિશનની વાત વચ્ચે ઝુંપડાવાસીઓનો મોરચો
Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલી ખાડીના વિકાસ માટે ખાડી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીના ડિમોલીશન માટેની તૈયારી થઈ રહી છે. પાલિકા દ્વારા ડિમોલીશનની તૈયારી શરુ કરતાં ઈન્દિરા નગર અને રસુલાબાદ નગરના રહેવાસીઓેએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે અઠવા ઝોન પર મોરચો લઈ પહોંચ્યા હતા. અસરગ્રસ્તો 35 વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે અને અચાનક બેઘર થાય તેવી શક્યતા છે તેવો ભય વ્યક્ત કર્યો હતો.
સુરત પાલિકાના અઠવા ઝોનમાં ભટારમાં ખાડી કિનારે 35 વર્ષથી સ્લમ વિસ્તાર એવા ઇન્દિરા નગર અને રસુલાબાદ નગરમાં 150થી વધુ પરિવારો વસવાટ કરે છે. હાલમાં અઠવા ઝોન દ્વારા ખાડીના વિકાસ માટે ખાડી કિનારાની વસાહતના ડિમોલીશન માટે તૈયારી કરી રહી છે. પાલિકા દ્વારા ડિમોલિશનની તૈયારી કરવામાં આવી રહી છે. આ વાત બહાર જતા ઈન્દિરા નગર અને રસુલાબાદ નગરના રહેવાસીઓેના જીવ તાળવે ચોંટ્યા છે. તેઓ પુર્વ કોર્પોરેટર સાથે મળીને અઠવા ઝોનમાં મોરચો લઈ પહોંચ્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા અગાઉ માનવતાના ધોરણે શ્રમજીવીઓને ઇડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવી હોવા છતાં આ કિસ્સામાં અઠવા ઝોન દ્વારા આ સંદર્ભે કોઈ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી. તેથી વસવાટ કરનારાઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે. આજે મોટી સંખ્યામાં શ્રમજીવીઓ દ્વારા અઠવા ઝોન કચેરીએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝોન કચેરીએ પહોંચેલા સ્થાનિકોએ વિકાસ કાર્યમાં નડતર રૂપ ઝૂંપડાઓ દૂર કરવાની સાથે પરિવારજનોને વૈકલ્પિક ઇડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.