અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધની સફળતાથી ભાજપની ચિંતા વધી, લોકોનો ગુસ્સો ઠારવો બન્યો પડકાર

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Rajkot Game Zone Fire


Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સરકારે અસરકારક પગલાં ન લેતાં રાજકોટવાસીઓનો રોષ ઠંડો પડ્યો નથી. તેમાં પિડીત પરિવારોના ન્યાય માટે કોંગ્રેસે વિપક્ષ તરીકેની અસરકારક ભૂમિકા ભજવતાં રાજકોટવાસીઓ પ્રભાવિત થયા છે. જેના કારણે રાજકોટ બંધને વ્યાપક સમર્થન સાંપડ્યું હતું. બંધના એલાનને સફળતા મળતાં ગુજરાત કોંગ્રેસ ગેલમાં છે. જ્યારે ભાજપના ગઢ સમાન રાજકોટમાં સામાન્ય જનમાનસમાં છવાઇ જતાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતી સર્જાઇ છે. આ રાજકીય પરિસ્થિતી સર્જાતાં દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે.

રાજકોટ અગ્નિકાંડનો મુદ્દે ભાજપ સરકાર બરોબરની ભેરવાઈ છે. રાજ્ય સરકાર અસરકારક પગલાં લેવાને બદલે ઢીલાશપણું દાખવતાં સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે. હાઇકોર્ટે લાલ આંખ કરતાં સીટ ઉપરાંત અન્ય તપાસ કમિટીની રચના કરવી પડી છે. જે સરકારની નિષ્ક્રિયતા છતી કરે છે. કોંગ્રેસે પણ આરોપ મૂક્યો છે કે, નાની માછલીઓ પકડાઈ છે. પરંતુ સરકાર મગરમચ્છોને પકડતી નથી. આ ગેમઝોન અગિગ્નિકાંડ સંવેદનશીલ મુદ્દો લોકસભાની ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસે પહેલીવાર વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા અદા કરી હતી.

કોંગ્રેસ નેતાઓના રાજકોટમાં ધામા 

વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના નેતાઓએ 15 દિવસ રાજકોટમાં ધામા નાંખ્યા હતાં. પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરી પિડીતોના ન્યાયની લડતના મંડાણ કર્યા જેના કારણોસર રાજકોટમાં કોંગ્રેસને જાણે શહેરીજનોનો આવકાર સાંપડયો હતો. પરિણામ એ આવ્યુકે, માત્ર કોંગ્રેસના નેતાઓની વિનંતી આધારે જ રાજકોટ સજ્જડ બંધ રહ્યું. બંધની માત્ર રાજકોટ પુરતી નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં અસર વર્તાઇ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં અવિરત મેઘસવારી, છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, પલસાણામાં સૌથી વધુ


ભાજપના નેતાઓની ચિંતા વધી

રાજકોટ ભાજપના એકેય ધારાસભ્ય-નેતા પિડીત પરિવારોને સાંત્વના આપવા ન ગયાં. સરકાર પણ અગ્નિકાંડમાં સડોવાયેલાં ભાજપના નેતાઓને બચાવવામાં મથામણ કરી રહી છે. આ જોતાં રાજકોટવાસીઓએ બંધ પાળીને ભાજપને આડકતરો સંદેશ આપી દીધો છે. બંધની સફળતાને પગલે કોંગ્રેસે રાજકોટ પર રાજકીય પરદંડો જમાવી લીધો છે. જેના કારણે ગુજરાત ભાજપના નેતાઓની ચિંતા વધી છે. અત્યારે તો રાજ્ય સરકાર અને ભાજપ રાજકોટવાસીઓનો રોષ કેવી રીતે ઠારવો તે અંગે વિચારમાં છે. આ મામલે દિલ્હીથી માર્ગદર્શન પણ મેળવાયુ છે.

અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધની સફળતાથી ભાજપની ચિંતા વધી, લોકોનો ગુસ્સો ઠારવો બન્યો પડકાર 2 - image


Google NewsGoogle News