રાજકોટ સિટી બસ અકસ્માત: મૃતકોના પરિજનોને 15 લાખની સહાય, ડ્રાઇવર સામે માનવ વધનો ગુનો દાખલ
Rajkot City Bus Accident: રાજકોટના ઇન્દીરા સર્કલ કાળ બનેલી બેફામ ગતિએ આવી રહેલી સિટી બસ 4 લોકોને ભરખી ગઇ હતી. બસના ડ્રાઇવરે ગફલતભર્યું ડ્રાઇવિંગને અનેક વાહનો અડફેટે લીધા અને 6-7 લોકોને અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિટી બસે અકસ્માત સર્જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ગઇ હતી અને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને બસ ડ્રાઇવર વિરૂદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત અકસ્માતમાં મૃતકોના પરિજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
તપાસ શરૂ
યોગ્ય તપાસ કરી બસ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે અને પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે. બસ ડ્રાઇવર નશામાં હોવાનો પ્રત્યક્ષદર્શીઓએ આક્ષેપ કર્યા હોવાથી બસ ડ્રાઇવરના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં પોલીસ દ્વારા એફ.એસ.એલ અને આર.ટી.ઓ.ની બસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અકસ્માત સમયે કયા કારણસોર ડ્રાઇવર બ્રેક લગાવી શક્યો નથી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે બસ ડ્રાઇવરે બ્રેક લગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બ્રેક લગાવી શક્યો ન હતો. તો બીજી તરફ કંડક્ટરે જણાવ્યું હતું કે ડ્રાઇવરે બ્રેક લગાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પરંતુ બ્રેક લાગી ન હતી અને વાહનો અડેફેટે આવી ગયા હતા.
કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં કિરણબેન કક્કડ, ચિન્મયભાઇ, સંગીતાબેન બેલ બહાદુર નેપાળી, (ઉંમર 40) જે બ્યૂટી પાર્લરમાં નોકરી કરે છે અને રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35) જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમનો સમાવેશ થાય છે. અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું.