સુરતમાં વરસાદ બંધ થયો પણ રોગચાળામાં વધુ બે વ્યક્તિના મોત

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સુરતમાં વરસાદ બંધ થયો પણ રોગચાળામાં વધુ બે વ્યક્તિના મોત 1 - image


- વેડ રોડ ખાતે ડેન્ગ્યુ થયા બાદ તરુણી અને સરથાણામાં ઝાડા ઉલટી બાદ મહિલાનું મોત થયું

 સુરત,:

શહેરમાં વરસાદ વરસવાનું બંધ થયું છે પણ શહેરમાં હજુ  વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીમાં ઘણા લોકો સપડાય રહ્યા છે. તેવા સમયે વેડ રોડ ખાતે ડેન્ગ્યુ થયા બાદ ધો. ૧૦માં ભણતી તરુણી અને સરથાણામાં ઝાડા- ઉલટી બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ પર ત્રિલોક સોસાયટીમાં રહેતી ૧૪ વર્ષીય રિન્કી અજયકુમાર  સિંગને રવિવારથી તાવ આવતો અને ઉલ્ટી થઇ હતી. જેથી સારવાર માટે દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં તેના વિવિધ રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં તેને ડેન્ગ્યુ થયુ હોવાનું બહાર આવ્યું હતુ. જયારે ગત સાંજે તેની તબિયત વધુ બગડતા પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ ઉપરના ડોકટરે તેને જાહેર કરી હતી. જયારે રિન્કી મુળ ઉતરપ્રદેશની વતની હતી. તે ધો.૧૦માં અભ્યાસ કરી હતી. તેના પિતા એમ્બ્રોઇડરી મશીન રિપેરીંગ કરે છે.

બીજા બનાવમાં સરથાણામાં યોગીચોક ખાતે વિજયનગરમાં રહેતા ૩૨ વર્ષીય કિરણબેન દિલીપભાઇ ધોરીને બે દિવસથી ઝાડા ઉલ્ટી થઇ હતી.  ગઈ કાલે સાંજે તેમની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે તે મુળ ભાવનગરમાં ભંડેરીગામના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પતિ સંચાખાતામાં કામ કરે છે. નોધનીય છે સુરતમાં વરસાદ વરસતો બંધ થયો છે છતા ઝાડા-ઉલ્ટી, તાવ, મેલેરીયા, ડેન્ગ્યુ સહિતની બિમારીમાં ધણા વ્યકિત સપડાઇ રહ્યા છે. જેથી તેઓ સારવાર માટે સિવિલ, સ્મીમેર, ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં જઇ રહ્યા હોવાનું સુત્રો જણાવ્યું હતું.


Google NewsGoogle News