પાલીતાણામાં રેલ્વે સ્ટેશનનો રસ્તો 15 વર્ષથી બિસ્માર હાલતમાં
ઉચ્ચ અધિકારીઓની મનમાની સામે અરજદારોમાં રોષ
રોડની દુર્દશાની જવાબદારી અંગે જવાબદાર તંત્રવાહકો પરસ્પર ખો આપી જવાબદારી ખંખેરતા હોવાનો આક્ષેપ
પાલિતાણા: પાલીતાણા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન તરફ જવા માટેનો રસ્તો લગભગ ૧૫ વર્ષથી તદ્રન બિસ્માર હાલતમાં છે. આ માર્ગમાં રેલવે સ્ટેશન ઉપરાંત એકબાજુ તાલુકા પંચાયત, ખેતી વિકાસ બેંક તેમજ ગુરુકુળ આવેલ હોય દિવસ દરમિયાન હજજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે. જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે.
પાલિતાણામાં આવેલ અને મુસાફરોની સતત અવર-જવરથી ધમધમતો રેલવે સ્ટેશનને સાંકળતો અત્યંત મહત્વનો માર્ગ ખખડધજ હાલતમાં છે. જેના કારણે ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવે છે. આ રોડની બિસ્માર હાલત અંગે સ્થાનિક જાગૃત નગરજનો દ્વારા જયારે માર્ગ અને મકાન વિભાગ, તાલુકા પંચાયત તેમજ ખેતી વિકાસ બેન્કના ઉચ્ચ અધિકારીઓને પૃચ્છા કરવામાં આવે છે ત્યારે તેઓ પરસ્પર ખો આપીને જવાબદારી ખંખેરી દેતા અચકાતા નથી. એટલુ જ નહિ આ જવાબદાર અધિકારીઓ અરજદારોને મનસ્વી જવાબો આપતા હોય છે તેમજ ઉધ્ધત વર્તન કરવામાં આવતુ હોવાની આ સાથે કચેરીના ટેલીફોન રીસીવ કરવામાં આવતા નથી.પાલિતાણા યાત્રાધામ હોય અત્રે વર્ષ દરમિયાન પ્રસંગોપાત, શનિ,રવિ જાહેર રજા અને તહેવારોમાં દૂરદૂરથી અસંખ્ય આબાલવૃધ્ધ યાત્રિકોની સતત અવર-જવર રહેતી હોય છે. તેઓમાં અત્રેના રેલવે સ્ટેશનના રોડની દુર્દશાથી યાત્રાધામની ઈમેજ ખરડાઈ રહી છે. યાત્રાધામ પાલિતાણાના સર્વાંગી વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ, કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ આ રોડની તદ્રન બિસ્માર હાલત અંગે વખતોવખત રજુઆતો કરવા છતાં સત્તાધીશો મૂક અને બધિર વલણ દાખવી રહ્યા હોવાનો જાગૃત નાગરીકોએ આક્રોશભેર જણાવ્યુ હતુ.