વડોદરામાં રેલવે ભરતી કૌભાંડમાં સનસનીખેજ ખુલાસો, 5 રેલવે કર્મચારીઓની ધરપકડ
Railway recruitment scam Vadodara: રેલવે ભરતીમાં ગેરરીતી કેસ મામલે મંગળવારે સી.બી.આઇ અને એ.સી.બીએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીબીઆઇએ તપાસનો દૌર ચાલુ રાખતાં સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત 5 આરોપીઓને દબોચી લીધા છે. રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સંદર્ભે આ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે ઓફિસમાં સી.બી.આઇ. ની ટીમે ધામા નાંખ્યા છે. રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. જે અંગે સી.બી.આઇ. દ્વારા તપાસ શરૂ કરતાં રેલો વડોદરા ડિવિઝન સુધી પહોંચ્યો છે. ડી.આર.એમ. ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સિનિયર પર્સનલ ઓફિસર સુનિલકુમાર બિશ્નોઇની ઓફિસને સીલ કરી તેઓના બંગલામાં પણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સી.બી.આઇ.ની કાર્યવાહીથી રેલવે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
તપાસ દરમિયાન રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓના નોકરીના સ્થળે અને ઘરે તપાસ કરી જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકઠા કર્યા કર્યા છે. રેલવે ભરતી કૌભાંડમાં સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.
રેલવે ભરતી માટે 3 ઉમેદવારો પાસેથી કેશમાં લાંચ લીધી હતી અને આ લાંચ રકમથી સોનું ખરીદ્યું હતું.આ કેસમાં વડોદરાના અલકાપુરી સ્થિત ધનરાજ જ્વેલર્સનું પણ નામ સામે આવતાં જ્વેલર્સના માલિક હાલ ફરાર થઇ ગયા છે. સમગ્ર મામલે સી.બી.આઇ અને એ.સી.બી.એ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.