વિદ્યાર્થિનીઓ માટે આર્થિક સહાયની જાહેરાત, શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ

નાણામંત્રીએ શાળા-આંગણવાડી અને પોષણ અંગે પણ ફાળવ્યું બજેટ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News

વિદ્યાર્થિનીઓ માટે આર્થિક સહાયની જાહેરાત, શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ 1 - image

Important Announcement In Gujarat Budget: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂપિયા 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી જણાવ્યુ કે,'રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.'

નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે 

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થિનીઓને 10 હજારની સહાય અપાશે. ધો. 11 અને 12ના વિદ્યાર્થિનીઓને 15 હજારની સહાય અપાશે. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય અપાશે. રાજ્યના 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 504 કરોડ રુપિયાની જોગવાઈ

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ, સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા 84 કરોડ, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ કરવામાં આવી.

શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત

શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈ.ટી. અને સંલગ્ન  તકનીકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

નાણામંત્રીએ શાળા-આંગણવાડી માટે ફાળવ્યું બજેટ

પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડી 2.0 યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  



Google NewsGoogle News