વડોદરામાં રોડ પહોળો કરવાની કામગીરીમાં 10 દિવસમાં 4 વખત વીજ કેબલને નુકસાન, હજારો લોકો ગરમીમાં હેરાન થયા
Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં શાસ્ત્રી બાગથી લઈને કલાદર્શન ચાર રસ્તા સુધી રોડ પહોળો કરવાની ચાલી રહેલી કામગીરીમાં 10 દિવસમાં ચાર વખત મધ્ય ગુજરાત વીજ કંપનીના કેબલને નુકસાન પહોંચ્યું છે. દર વખતે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં આ વિસ્તારના 10000 જેટલા લોકો હેરાન થયા છે.
વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, આ રોડ પરથી વીજ કંપનીનો 11 કેવીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ પસાર થાય છે. કોર્પોરેશન દ્વારા રોડ પર કોઈને કોઈ કામગીરી ચાલતી રહેતી હોય છે અને ભૂતકાળમાં પણ વીજ કંપનીના અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાવાથી કે કેબલને નુકસાન થવાથી નુકસાન થયેલું છે. જેના કારણે એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ કોન્ટ્રાકટરે ખોદકામ કરતી વખતે એ સ્થળની જાણકારી વીજ કંપનીને આપવાની હોય છે કે વીજ કંપનીના કર્મચારીને સ્થળ પર બોલાવી લેવાનો હોય છે. જેથી વીજ કેબલને ખોદકામ દરમિયાન નુકસાન ના પહોંચે.
વીજ કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરના સુપરવાઈઝર દ્વારા અમને જાણકારી આપવામાં અખાડા થઈ રહ્યા છે. જેના કારણે કોટયાર્ક નગર સોસાયટી પાસે બે વખત અને પૂનમ કોમ્પ્લેક્ષ પાસે બે વખત એમ ચાર વખત કેબલ કપાયો છે અને દર વખતે અડધો કલાકથી એક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો છે. આ અંગે અમે કોર્પોરેશનના ઉચ્ચાધિકારીઓને પણ જાણ કરી છે.