VIDEO: પાલજમાં ગુજરાતનું સૌથી મોટું હોલિકા દહન, જ્વાળાની દિશા પરથી ચોમાસું એકંદરે સારું રહેવાનો વરતારો
Palaj Holi, Gandhinagar : રાજ્યભરમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. જેની ઊંચાઈ લગભગ 35 ફૂટ છે. મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો હોળીના દર્શન કરવા આવ્યા હતા.
700 વર્ષ જૂની પરંપરા
રાજ્યભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના પાલજ ગામમાં આશરે 700 વર્ષની પરંપરા અનુસાર આજે ગુરુવારે (13 માર્ચ, 2025) રાજયની સૌથી મોટી હોળી પ્રગટાવામાં આવી છે. હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. અહીં 35 ફૂટની ઊંચાઈની હોળી પ્રગટાવામાં આવી હતી. જેની જ્વાળા 100 ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળ્યો હતો.
'એક પણ શ્રદ્ધાળુઓને ઈજા થતી નથી કે દાઝતા નથી'
આ અંગે ગ્રામજનોએ જણાવ્યા હતું કે, 'ગામમાં મહાકાળી માતાનું મંદિર છે, માતાજીની શ્રદ્ધાના કારણે ધગધગતા અંગારા ઉપર શ્રદ્ધાળુઓ ચાલે છે, પરંતુ આજદિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી નથી કે કોઈ દાઝ્યું નથી. હોળી પ્રગટાવ્યા પછી મહાકાળી મંદિરના પૂજારી અને ત્યાર બાદ ગ્રામજનો અંગારા પર ચાલે છે. 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસ દરમિયાન લાડવા બનાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે.'
આ પણ વાંચો: રેવન્યુ તલાટીની ભરતીના નિયમો બદલાયાં, હવે ધો.12ની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત
હોળીના પ્રાગટ્ય માટે દસ-પંદર દિવસ પહેલા જ તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે. ગામના યુવાનો 200થી 300 ટન લાકડાં ભેગાં કરીને ગામના પાદરે 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવા માટેની વ્યવસ્થા કરે છે. એટલું જ નહીં ગામના 80 જેટલા યુવાનો 15 દિવસ પહેલાથી લાકડા શોધીને ભેગા કરે છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસના ડોડાનો હાર બનાવીને લાવે છે અને હોળી હોમી દે છે. હોળી બાદ લોકો 7 વાર પ્રદક્ષિણા કરે છે. અંગારાઓ પર સૌ પ્રથમ મહાકાળી માતાજીના પૂજારી ચાલે છે. તેમની પાછળ જય મહાકાળીના નાદ સાથે ભક્તો ચાલે છે. તેનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઈ બીમારી ન થતી હોવાની કે સામાન્ય તાવ સુદ્ધાં ન આવતો હોવાની માન્યતા છે.
અંબાલાલ પટેલે શું કહ્યું?
આ પ્રસંગે અંબાલાલ પટેલ હાજર રહ્યા હતા અને હોળીના દર્શન કર્યા હતા. તેમણે હોળીની જ્વાળા પરથી વરતારો કરતાં કહ્યું કે, 'પશ્ચિમ દિશામાં પવન રહ્યો છે. એકંદરે ચોમાસું સારું રહેશે. જ્યારે લો પ્રેશરના કારણે ચોમાસુ આવવાનું રહેશે. 26 એપ્રિલથી 8 જૂન પહેલાં વાવાઝોડાની શક્યતા છે.'