ભાવનગરમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ધૂરંધર પદ્મભૂષણ વિજ્ઞાની પ્રો.સુખદેવનું 101 વર્ષની વયે નિધન
Professor Sukhdev Passes Away: ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ધૂરંધર વિદ્વાન અને વર્ષોથી ભાવનગર સ્થાયી થયેલાં પદ્મભૂષણ વિજ્ઞાની પ્રો.સુખદેવનું 101 વર્ષની જૈફવયે બુધવારે (16મી ઓક્ટોબર) નિધન થયું હતું. સતત 100 વર્ષ સુધી સતત પ્રવૃત્ત રહેલાં પ્રો. સુખદેવે તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક રસાયણ ક્ષેત્રે અનેક સંશોધન કર્યા હતા. તેમણે 10થી વધુ પુસ્તકો લખ્યા હતા અને તેમના 290થી વધુ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેમના નામે 55થી વધુ પેટન્ટ રજિસ્ટર્ડ છે. તેમના શિક્ષણ ક્ષેત્રના કાર્યકાળમાં પ્રો. સુખદેવે પીએચ.ડી.ના 92 વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.
પ્રો. સુખદેવને ભારત સરકારે 2008માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. આ સિવાય તેમને ભટનાગર એવોર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પી.સી. રોય એવોર્ડ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવોર્ડ સહિતના સન્માન મળી ચૂક્યા હતા. જીવન પર્યંત પ્રાકૃતિક રસાયણ ક્ષેત્રે સતત ચિંતન અને મનનના કારણે તેમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ભિષ્મ પિતામહની ઉપમા મળી હતી.