ગોલવાડના રાણા સમાજની મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
ગોલવાડના રાણા સમાજની મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું 1 - image


પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર

ગોલવાડ ખાતે રહેતા રાણા સમાજના બ્રેઈનડેડ મહિલાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

ગોલવાડના નવાપુર ખાતે રાવલીયા ના ટેકરા પર આવેલા તીરંગા એપાર્ટમેન્ટમાં રહેતા અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૨ વર્ષીય અનિલકુમાર સુંદરલાલ રાણા તેમની પત્ની મીનાક્ષીબેન ( ઉં - વ - ૪૧ ) સાથે ગત તા. ૯ મીએ સવારે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા જોવા નીકળ્યા હતા તે સમયે બારડોલી હાઇવે પર આવેલ હેલો-ફ્રેશ નામની દુકાનની સામે સવારે એક અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી.

જેમાં મીનાક્ષીબેનને ગંભીર ઈજા થતા તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાથી વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા બાદમાં બુધવારે ત્યાંના ડોક્ટરે મીનાક્ષીબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા બાદમાં ત્યાંથી જાણ કરતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે ચક્ષુઓનું લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું.

દાનમાં મળેલી બંને કિડની જરૂરિયાતમંદ વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તથા લિવરનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મહેસાણાના રહેતા ૪૧ વર્ષીય વ્યક્તિમાં કરવામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

જ્યારે મીનાક્ષીબેનને સંતાનમાં ૧૫ વર્ષીય પુત્રી અસ્મિતા ધોરણ ૧૦ માં અને ૧૩ વર્ષીય પુત્ર ક્રિષ્ણા ધોરણ ૮ માં અભ્યાસ કરે છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૦ કિડની, ૧૭૪ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૭ હૃદય, ૨૨ ફેફસાં અને ૩૧૪ ચક્ષુઓ સહીત કુલ ૯૬૫ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૮૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.


Google NewsGoogle News