અમરોલીના પોલીસ કર્મી તથા સોસાયટી પ્રમુખ વિરુધ્ધ ગુનો નોંધી સમન્સ ઈસ્યુ કરવા હુકમ

ફરિયાદીએ અમરોલી પોલીસ મથકના પીઆઈ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી હતીઃપીઆઈ તથા રિક્ષાચાલક સામેની ફરિયાદ રદ કરાઈ

મેઈન્ટેનન્સ આપવા જતા પાણીની ફરિયાદ કરવાની તકરારમાં માર માર્યો હતો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News



અમરોલીના પોલીસ કર્મી તથા સોસાયટી પ્રમુખ વિરુધ્ધ ગુનો નોંધી સમન્સ ઈસ્યુ કરવા હુકમ 1 - image

સુરત

ફરિયાદીએ અમરોલી પોલીસ મથકના પીઆઈ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી હતીઃપીઆઈ તથા રિક્ષાચાલક સામેની ફરિયાદ રદ કરાઈ

      

અમરોલી કોસાડ વિસ્તારમાં સોસાયટીના પ્રમુખને મેઈન્ટેનન્સ આપવા દરમિયાન પાણી ના મુદ્દે ફરિયાદ કરતા થયેલી બોલાચાલીમાં ફરિયાદી સહિત પરિવારના સભ્યો સાથે માર મારીને ગાળો તથા ધમકી આપવા બદલ અમરોલી પોલીસ મથકના પોલીસકર્મી તથા સોસાયટીના પ્રમુખ વિરુધ્ધ ઈપીકો-323 તથા 114નો ગુનો નોંધી સમન્સ ઈસ્યુ કરવા ડૉ.કુ.સુપ્રીત કૌર ગાબાએ હુકમ કર્યો છે.જ્યારે પીઆઈ ગડરીયા તથા રિક્ષાચાલક વિરુધ્ધની ફરિયાદ ડીસમીસ કરવા હુકમ કર્યો છે.

અમરોલી કોસાડ આવાસમાં એચ.૫ બિલ્ડીંગમાં રહેતા ફરિયાદી સાગર હસમુખભાઈ પટેલે અમરોલી પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરીયા ,અનાર્મ હેડ કોન્સ્ટેબલ કીરીટ રસીકભાઈ,અજાણ્યા રિક્ષાચાલક,તથા સોસાયટીના પ્રમુખ અનિલ રમેશ પાટીલ વિરુધ્ધ સીઆરપીસી-156(3) હેઠળ ઈપીકો-323,341,354,504,506(2)114 તથા 120 ના ગુના અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તા.17-7-22ના રોજ ફરિયાદીના મામા યોગેશભાઈ સોસાયટીના પ્રમુખ અનિલ પાટીલને મેઈન્ટેનન્સ આપવા ગયા હતા.જે દરમિયાન પાણી ન આવતા હોવાની ફરિયાદ કરતા આરોપી પ્રમુખે બોલાચાલી કરીને ફરિયાદી સાગર પટેલના માતા સોનલબેનને ગાળો આપી માર મારતા ફરિયાદીની માતાએ 100 નંબર ફોન કર્યો હતો.ત્યારબાદ આરોપી અનિલ પાટીલે બે અજાણી વ્યક્તિને ફરિયાદીના ઘરમાં લાવી ગાળો ફરિયાદીના મામાને ગાળો આપી તમાચા માર્યા હતા.ત્યારબાદ અમરોલી પોલીસ મથકના પીઆઈ ગડરીયા તથા અનાર્મ હેડકોન્સ્ટેબલ કીરીટ રસીકભાઈ ફરિયાદીના મામાને માર મારીને પરિવારના સભ્યોને અમરોલી ડી સ્ટાફની ચોકીમાં લઈ ગયા હતા.જ્યાં ફરિયાદી,તેના દિવ્યાંગ ભાઈ તથા માતા અને મામલે પોલીસે આરોપી પ્રમુખ અનિલ પાટીલની હાજરીમાં ગંદી ગાળો આપીને આરોપી પોલીસ કર્મીઓએ રબ્બરના પટ્ટા વડે માર માર મારી લાતો મારીને ઈજા પહોંચાડી હતી.

જે અંગે સુરત શહેર પોલીસ કમિશ્નરે કે અમરોલી પોલીસે આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ ન લેતા કોર્ટમાં સીઆરપીસી-156(3) મુજબ ફરિયાદ નોંધી પ્રોસેસ ઈસ્યુ કરવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે રેકર્ડ પરના પુરાવા ફરિયાદી તથા અન્ય સાક્ષીઓના વેરીફિકેશન બાદ આરોપી પીઆઈ ગડરીયા તથા અજાણ્યા રિક્ષા ચાલક વિરુધ્ધની ફરિયાદ ડીસમીસ કરી આરોપી એ.હે.કો.કીરીટ રસીકભાઈ તથા સોસાયટીના પ્રમુખ અનિલ પાટીલ વિરુધ્ધ ગુનો નોંધી સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.


SURATCOURT

Google NewsGoogle News