કાપડ બજારમાં કામકાજો આગળ વધ્યા, ખરીદીને કારણે ડિસ્પેચીગ વધ્યું

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
કાપડ બજારમાં કામકાજો આગળ વધ્યા, ખરીદીને કારણે ડિસ્પેચીગ વધ્યું 1 - image


સુરત

દિવાળીના તહેવાર આડે માંડ સવા મહિનો બાકી છે, તે પહેલાં દશેરાનો તહેવારની ગણતરીના દિવસો બાકી છે. દુર્ગા પૂજાની ખરીદી પહેલાં શરૃ થશે અને તેની સાથોસાથ દિવાળીના તહેવારની ખરીદી શરૃ થશે. હાલમાં કામકાજ વધ્યું છે. માર્કેટમાંથી બહારગામ માટેના ફિનિશ્ડ પ્રોડક્ટના ડિસ્પેચિંગમાં વધારો છે.

દશેરા અને દિવાળીની ખરીદી નીકળશે એવી ગણતરી રાખીને વેપારીઓ જૂન-જુલાઈથી નવો સ્ટોક બનાવવાનું શરૃ કરી દેતાં હોય છે. અત્યારે માર્કેટમાં બહારગામના વેપારીઓની ચહલપલ વધી છે એટલે તૈયાર સ્ટોકનો નિકાલ થવામાં કોઈ મુશ્કેલી નહીં આવે એવી વેપારી વર્ગને આશા છે, એમ માર્કેટના વેપારી રંગનાથ સારડાએ જણાવ્યું હતું.

બહારગામથી ખરીદી માટે આવતો વેપારી આડેધડ ખરીદી કરવાનું ટાળે છે. જેટલી જરૃર છે તેટલાં જ માલની ખરીદી કરે છે અને જરૃર પડશે તો બાદમાં મંગાવી લઈશું એવી ગણતરી રાખીને ખરીદી કરે છે, કોઈ નવું જોખમ બહારગામનો વેપારી લેતો નથી. કાપડ બજારમાં વેપાર ધીમે ધીમે ઓછો થયો હોવાનું પણ એક રીતે લાગી રહ્યું છે.

બહારગામનો વેપારી ખરીદી માટે આવતો ત્યારે એક સમયે એવો હતો કે તેઓ એડવાન્સમાં ઓર્ડર લખાવતા અને મોટા પ્રમાણમાં બેલ મંગાવતા. માર્કેટ માટે અત્યારનો સમય ખૂબ જ ચહલપહલવાળો બની રહેતો હોય છે. જોકે આ સ્થિતિ અત્યારે નથી. આમ છતાં કાપડનો વેપારી ફરી અત્યારે ખૂબ વ્યસ્ત થયો છે અને મહિનાના આખરના દિવસ સુધી વ્યસ્ત રહેશે.


Google NewsGoogle News