અમાસની રાત્રે ભોદ ગામનાં પાટીયાં પાસે 10 ગૌધન કચડાયાં, 5નાં મોત
પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય તેની પૂર્વ રાત્રિએ બનાવ જીવદયાપ્રેમીઓએ ટ્રકચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હોવા છતાં એફઆઇઆરમાં ટ્રકચાલકનું નામ નહીં હોવાથી તર્કવિતર્ક
પોરબંદર, : શ્રાવણ માસની પૂર્વ રાત્રિએ નેશનલ હાઇવે પર ભોદ ગામના પાટીયા નજીક બેફામ સ્પીડે ટ્રક ચલાવતા ચાલકે દસ ગૌધનને કચડી નાખ્યા હતા જે પૈકી પાંચના મોત થયા હતા. આ બનાવમાં જીવદયાપ્રેમીઓએ ટ્રકચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હોવા છતાં એફ.આઇ.આર.માં ટ્રકચાલકનું નામ નહીં હોવાથી આશ્ચર્ય સર્જાયુ છે.
રાણાવાવની નાગેશ્વર સોસાયટી-1માં રહેતા અને ત્યાંની વનખંડી ગૌશાળામાં સેવા આપતા લખુભાઇ ઘેલાભાઇ મોઢવાડીયા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે રવિવારે રાત્રે 10.30 વાગ્યે તેમને ભોદ ગામના પાટીયા પાસે કોઇ ટ્રકચાલકે દસ જેટલી ગાયોને હડફેટે લઇને ઇજા કર્યાની જાણ થતાં કરશનભાઇ ઓડેદરા તેમજ અન્ય જીવદયાપ્રેમીઓ ત્યાં પહોંચ્યા ત્યારે દસ જેટલા ગૌધનને નાની મોટી ઇજાઓ થઇ હતી જેમાં ત્રણ ગાય, એક નંદી અને એક વાછરડોમૃત્યુ પામ્યા હતા. ત્રણ નાની ગાય, એક મોટી ગાય અને એક નાના નંદીને ઇજા થઇ હતી. બાલાજી વેફરના ટ્રકના ચાલકને પકડીને જીવદયાપ્રેમીઓએ પોલીસને સોંપ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે એફ.આઇ.આર.માં ટ્રકચાલકના નામનો કોઇ ઉલ્લેખ નથી તેથી તે અંગે પણ ચર્ચાઓ જાગી છે.