દેવ દિવાળીએ મહિલાના અંગદાનથી ત્રણ ઘરમાં અજવાળા પથરાયા

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
દેવ દિવાળીએ મહિલાના અંગદાનથી ત્રણ ઘરમાં અજવાળા પથરાયા 1 - image


- અમરોલીમાં રહેતા જયાબેન વાઘની કિડની અને લીવરનું  દાનઃ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા નવમું અંગદાન

સુરત,:

દેવ દિવાળીના દિવસે અમરોલીમાં રહેતા 47 વર્ષીય બ્રેઇન ડેડ મહિલાની કિડની અને લીવરનું દાન કરીને ત્રણ વ્યકિતના જીવનમાં નવી રોશની પથરાઇ છે. અને તેમના પરિવારે માનવતા દાખવીને સમાજમાં નવી દિશા બતાવી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના દાઉળ ગામના વતની અને અમરોલીમાં શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા 47 વર્ષીય  જયાબેન નાનાભાઈ વાઘ ગત. તા ૨૧મીએ સવારે પુત્ર યોગેશ સાથે બાઈક પર જહાંગીરપુરા આશ્રમથી ઘરે જતા હતા. તે સમયે વરીયાવ-છાપરાભાઠા રોડ ઉપર અચાનક એક બમ્પર આવતા પાછળ બેઠેલા જયાબેન ઉછળીને રોડ ઉપર પટકાતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં ત્યાં ડોકટરોની ટીમે જયાબેનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

જોકે તેમના પરિવારને  જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવીયા, ડો. નીલેશ કાછડીયા સહિતનાઓએ અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં લીવર અને બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. બાદમાં  મહારાષ્ટ્રના ૨૮ વર્ષીય યુવાનમાં લીવર તથા ભરૃચની ૫૪ વર્ષીય મહિલા અને સુરતની ૪૯ વર્ષીય મહિલામાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ. જયારે જયાબેનને સંતાનમાં પુત્ર યોગેશ હીરાની કંપનીમાં લેસર ઓપરેટર તરીકે અને નાનો પુત્ર  વિનોદ હીરાની કંપનીમાં ઇલેક્ટ્રિશ્યન તરીકે કામ કરે છે.


Google NewsGoogle News