NSUIના કાર્યકરોએ નકલી નોટોના વરસાદ સાથે કર્યો વિરોધ, પોલીસે 20 કાર્યકર્તાની કરી અટકાયત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Saurashtra University


Saurashtra University Land Scam : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1542 ચોરસ મીટર જમીનનો કૉર્પોરેશન દ્વારા બારોબાર સોદો કરી બિલ્ડરને પધરાવી દેવાતા NSUIના કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા કચેરીએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં NSUIના કાર્યકરો દ્વારા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશ્નર અને શહેર ભાજપ-પ્રમુખનો રોલ ભજવી વિરોધ પ્રદર્શનમાં નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, કુલપતિએ જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન અમારી જાણ બહાર કૉર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. યુનિવર્સિટીની આ જમીન પરત લેવા માટે અમે કૉર્પોરેશન અને સરકારને 10 વખત પત્રો લખ્યા હોવા છતાં તેના ઉપર કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.' યુનિવર્સિટીની જમીન બારોબાર બિલ્ડરને પધરાવી દેવામાં આવતા NSUIના કાર્યકરો દ્વારા જોરશોરથી વિરોધ કરાતાં પોલીસે 20 કાર્યકર્તાની અટકાયત કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન કોર્પોરેશન દ્વારા બિલ્ડરને બારોબારો વહેંચી દીધી

મળતી માહિતી પ્રમાણે, યુનિવર્સિટીની આ જમીન કૌભાંડમાં TRP ગેમ ઝોન હત્યાકાંડમાં સંડોવાયેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયા ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં યુનિવર્સિટીની રૈયા સર્વે નંબરમાં આવેલી 1542 ચોરસ મીટર જમીન કૉર્પોરેશન દ્વારા બિલ્ડરને બારોબાર વહેંચી હોવાનો પત્ર મળ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, 'અમારી જાણ બહાર કૉર્પોરેશન દ્વારા આ જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કૉર્પોરેશન દ્વારા જવાબ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ આપી પ્રતિક્રિયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે, 'યુનિવર્સિટીની જમીન માટે અત્યાર સુધીમાં સરકાર અને કૉર્પોરેશન સ્તરે 10 વખત પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ પણ 2021ની સાલમાં યુનિવર્સિટીની જમીનને લઈને વિવાદ ઊભો થયો હતો. જેમાં અમારી જાણ બહાર કૉર્પોરેશ દ્વારા 1542 ચોરસ મીટર જમીન બિલ્ડરને આપી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા TP સ્કીમ હેઠળ જમીનનો કબજો કરવામાં આવ્યો છે, અમારા દ્વારા જમીન TP સ્કીમ હેઠળ આવતી ન હોવાની સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે.'

જમીન કૌભાંડમાં કમિશ્નર, મેયર, શહેર ભાજપ પ્રમુખની સંડોવણી

NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આટલી મોંઘી જમીનને કમિશ્નર, મેયર, શહેર ભાજપ-પ્રમુખ દ્વારા યુનિવર્સિટીની જાણ બહાર બારોબાર વહેંચી દેવામાં આવી છે. જેમાં ભાજપે વિદ્યાના ધામમાં ભ્રષ્ટાચાર કર્યો છે.' બીજી તરફ, કૉંગ્રેસ કાર્યકર્તા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'TRP ગેમ ઝોન હત્યાકાંડના આરોપી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયા હાલ જેલમાં છે, તેમની આમાં ભાગીદારી હોવાનું જાણવા મળ્યું છે. કૉર્પોરેશને બિલ્ડરને જમીન વહેંચી દીધી છે, ત્યારે મહાનગરપાલિકામાં પૈસા ફેંક, તમાશા દેખના દૃશ્યો જોવા મળ્યા છે.'

NSUIના કાર્યકરોએ નકલી નોટોના વરસાદ સાથે કર્યો વિરોધ, પોલીસે 20 કાર્યકર્તાની કરી અટકાયત 2 - image


Google NewsGoogle News