અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય, ગૃહ વિભાગનો મોટો નિર્ણય
Gujrati Deported From USA : અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 37 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે. જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે માત્ર નિવેદનની પ્રક્રિયા પૂર્ણ કરીને ગૃહવિભાગને રિપોર્ટ મોકલવામાં આવશે.ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા પહોંચેલા 37 ગુજરાતીઓને ડિપોર્ટ કરાવવાના મામલે રાજ્યના ગૃહવિભાગે કાયદાકીય કાર્યવાહી અનુસંધાનમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમા ગેરકાયદે અમેરિકા ગયેલા લોકો વિરૃદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી.
પરંતુ, આ લોકો જે એજન્ટોની મદદથી અમેરિકા પહોંચ્યા હતા. તે એજન્ટોના નેટવર્કની તમામ કડી મેળવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જે અનુસંધાનમાં ગુરૂવારે પોલીસે 37 લોકોને તેમના વતન પર સલામત પહોંચતા કરવાની સાથે નિવેદન નોંધવાની કામગીરી પણ શરૂ કરી છે. જ્યારે કેટલાંક કિસ્સામાં તેમના પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
આ માટે તમામ જિલ્લા પોલીસ વડાને તેમની લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. તમામ લોકોના નિવેદન નોંધાયા બાદ રિપોર્ટ તૈયાર કરીને ગૃહવિભાગને સોંપવામાં આવશે. જેના આધારે એજન્ટોના નેટવર્ક અંગે તપાસ કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાશે.