Get The App

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા 1 - image


Navratri Special : સુરત સહિત દેશના અનેક શહેરોમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાયની વાત વિદેશમાં પણ સાર્થક થતી જોવા મળી રહી છે. જોકે, ભારતમાં અને વિદેશમાં ઉજવાતી નવરાત્રીમાં એક મોટો ફરક જોવા મળ્યો છે તે એ છે કે ગુજરાત સહિત ભારતમાં અનેક જગ્યાએ નવરાત્રી દરમિયાન ફિલ્મી ગીતોના તાલે તો વિદેશમાં રહેતા ભારતીયો પરંપરાગત ગરબા જ રમે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાએ વીક એન્ડમાં તો કેટલીક જગ્યાએ નવે નવ દિવસ ગરબાનું આયોજન થાય છે અને ત્યાં પરંપરાગત ગરબા જ જોવા મળે છે. 

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા 2 - image

ગુજરાતીઓ અને ગરબા એકબીજાના પર્યાય બની ગયાં છે. જેમાં પણ સુરત સહિત ગુજરાતમાં  નવરાત્રીના નવ દિવસ ગરબે ઘૂમવાની રાહ આખું વર્ષ ખેલૈયાઓ જોતા હોય છે. નવરાત્રી વિના પણ દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા ગુજરાતી ક્યારેય પણ ગરબા રમવા થનગનતા હોય છે. સુરત અને ગુજરાતમાં રહેણાંક અને ધંધાદારી નવરાત્રીને ફિલ્મી ગીતોનું ઘેલું લાગ્યું છે તો બીજી તરફ વિદેશમાં વસતા  ભારતીયો ગરબા રમે છે. તેમાં ફિલ્મી ગીતોના બદલે પરંપરાગત ગરબા જ નવરાત્રી દરમિયાન રમે છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા ચીરાગ પટેલ અને ક્રિષ્ના પટેલ કહે છે, અહી છેલ્લા અઢી દાયકાથી નવરાત્રીનું આયોજન થાય છે અહીના મહાત્મા ગાંધી સેન્ટરમાં આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન થયું છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ગરબાના કલાકારોને બોલાવવામાં આવે છે. તેઓ માત્ર ગુજરાતી અને પરંપરાગત ગુજરાતી ગરબા જ ગવડાવે છે અને તેના તાલે જ અમે ગરબા રમીએ છીએ. રિધ્ધી પાનવાલા કહે છે, અહીં જ્યાં ગરબા થાય છે ત્યાં માતાજીની તસ્વીર મુકવામાં આવે છે અને તેની શ્રદ્ધાપૂર્વક પુજા પણ કરવામાં આવે છે. ન્યુઝિલેન્ડના ઓકલેન્ડમાં રહેતા શિવમ દેસાઈ કહે છે, માત્ર ગુજરાતી કે ભારતીયો જ નહી પરંતુ અહીં તો માતાજીના ગરબાના તાલે સ્થાનિક ગોરીયાઓ પણ ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે. 

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા 3 - image(અમેરિકા)

મુળ સુરતના અને હાલ અમેરિકાના ઉત્તર કેરોલીના હિકોરીમાં રહેતા રીંકુ પટેલ કહે છે, આ વિસ્તારમા અનેક ગુજરાતીઓ રહે છે અને ભારતીયો પણ છે. નવરાત્રી દરમિયાન લોકો અહી ભેગા થાય છે અને ડીજે પર ગરબા રમે છે. જોકે, અહી માત્ર માતાજીના ગરબા જ રમાડવામાં આવે છે તેથી અહીની નવી પેઢી અને જુની પેઢી સાથે ણળીને ગરબા રમી માતાજીની આરાધના કરે છે. 

કેનેડામાં રહેતા હિરલ મહેતા કહે છે કેનેડાના અનેક વિસ્તાર મીની ભારત જેવા બની ગયાં છે અને છેલ્લા ઘણાં વર્ષોથી ગરબાનો ક્રેઝ જોવા મળે છે. અહીં હવે નાના-નાના કસ્બા જેવા શહેરોમાં પણ ગરબાનું આયોજન થાય છે. જેના કારણે અહી ગુજરાતીઓ ભેગા થાય છે અને એકતા પણ થઈ રહી છે. જોકે, અહીના ગરબામાં એક વસ્તુ એવી જોવા મળી છે કે ભારતમાં જે રીતે લોકો ફિલ્મી ગીતો પર ગરબા રમે છે તેના બદલે અહી માત્ર માતાજીના ગરબા પર જ ગરબા રમવામાં આવે છે. અહી પણ ગુજરાતી કલાકારોને બોલાવી ગરબાનું આયોજન થાય છે. 

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા 4 - image(ન્યૂઝીલેન્ડ)

અન્ય દેશોની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ નવરાત્રીનું આયોજન થાય છે. અહી નવરાત્રીના બે મહિના પહેલા જ માહોલ જામે છે. નવરાત્રી પહેલા જે વીક એન્ડ આવે છે તેમાં ઓપન સ્પેશ અને ડોમમાં ગરબાનું આયોજન થાય છે તેવું પર્થમાં રહેતા ભારતીય કેયુ પટેલ કહે છે. આ જગ્યાએ નવરાત્રીનું આયોજન થાય છે તેમાં ગુજરાતીઓ સાથે સાથે સ્થાનિકો પણ ભાગ લે છે અને ગરબા રમી રહ્યાં છે. 

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા 5 - image(ન્યૂઝીલેન્ડ)

નવરાત્રી દરમિયાન વિદેશમાં નવરાત્રીની એસેસરીઝનું ધૂમ વેચાણ થાય છે

સુરતમાં જે રીતે નવરાત્રી પહેલા દુકાનોથી માંડીને ફુટપાટ સુધી નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસનું વેચાણ થાય છે તેવી રીતે વિદેશમાં વેચાણ થતું નથી. પરંતુ જ્યાં જ્યાં ભારતીય લોકો વસવાટ કરે છે ત્યાં ભારતીય સ્ટોર્સ હોય છે. ત્યાં ભારતીય દરેક વસ્તુ મળી રહે છે. આ ઉપરાંત નવરાત્રી માટેની પૂજાની સામગ્રી પણ મળી રહે છે. 

સુરતની જેમ અમેરિકાના ઉમિયા મંદિરમાં પણ ભક્તો માથે માટલી લઈ ગરબા રમે છે 

સુરતના વરાછા વિસ્તારમાં ઉમિયા માતાનું મંદિર પરંપરાગત ગરબા માટે પ્રખ્યાત છે તેવી જ રીતે અમેરિકાના મેકોન જ્યોર્જિયામાં આવેલા ઉમિયા માતાજીનું મંદિર પરંપરાગત ગરબા માટે એનઆરઆઈની પહેલી પસંદ બની રહે છે. આ મંદિરમાં સામાન્ય દિવસોમાં માતાજીની ભક્તિ તો થાય છે પરંતુ નવરાત્રી દરમિયાન આ મંદિરમાં માતાજીના ભક્તોની સંખ્યા વધુ જોવા મળે છે.

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય : નવરાત્રીમાં વિદેશની ધરતી પર ભારતીયોના પરંપરાગત ગરબા 6 - image(અમેરિકા)

મુળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા કાંતાબેન પટેલ કહે છે જે રીતે સુરત અને ગુજરાતના ઉમિયા માતાજીના મંદિરમાં નવરાત્રી દરમિયાન માતાજીની માટલી (ગરબા) રમવામાં આવે છે તે જ રીતે અને તે જ શ્રદ્ધાથી અહીના ઉમિયા માતાજીના મંદિરમાં ગરબે ઘુમવા આવે છે. ઉષાબેન પટેલ કહે છે, નવરાત્રી દરમિયાન જે રીતે માતાજીની આરાધના ભારતમાં કરીએ છીએ તેવી જ રીતે અહીં મંદિર છે તેથી અહીં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા આવે છે. માત્ર વડીલો જ નહીં પરંતુ યંગસ્ટર્સ પણ આ ગરબામાં જોડાઈ રહ્યાં છે. 

શ્રાદ્ધ પક્ષમાં ગરબાથી કેટલાક વડીલો નારાજ

સુરત સહિત વિદેશમાં વસતા ભારતીયો નવરાત્રી દરમિયાન ગરબાની ધુમ મચાવે છે પરંતુ મોટાભાગના દેશમાં શનિ-રવિ રજા હોવાથી વીક એન્ડમાં ગરબા રમવામાં આવે છે. પરંતુ નવરાત્રીના પહેલાના 16 દિવસ શ્રાધ્ધના હોય છે તેમાં પણ ગરબા રમાતા હોવાથી કેટલાક વડીલો નારાજ થઈ રહ્યાં છે. ત્રણ દશકા કરતાં વધુ સમયથી કેનેડામાં સ્થાયી થયેલા ઉર્મિલાબેન ચતુર્વેદી કહે છે, શ્રાધ્ધના 16 દિવસ પિતૃઓની ભક્તિના દિવસ છે તેમાં પ્રિ-નવરાત્રીના નામે ગરબા રમાડવામાં આવે છે અને તેમાં પણ ઘણી જગ્યાએ માતાજીની પ્રતિમા કે ફોટા મુકવામાં આવે છે તેના કારણે અનેક લોકોની લાગણી દુભાઈ રહી છે. આ દિવસોમાં પ્રિ-નવરાત્રીના નામે ગરબા રમાડવામાં આવે છે તેનો વાંધો નથી, પરંતુ માતાની પ્રતિમા કે ફોટો મુકવા જોઈએ નહીં તેવું તેમનું માનવું છે.


Google NewsGoogle News