ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા 29મી માર્ચથી થશે શરૂ, 3 કરોડના ખર્ચે સુવિધાઓ ઊભી કરાઈ
Narmada Parikrama: વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29મી માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27મી એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. નર્મદા પરિક્રમામાં જુદા જુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી નર્મદા જિલ્લાના વહીવટીતંત્રએ ખાસ તૈયારી શરૂ કરી દીધી છે.
કરોડો રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરાઈ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે 3.82 કરોડ રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. આ તમામ ઘાટ પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ યુનિટ, ઈમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ
ઉલ્લેખનીય છે કે, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને પગલે નર્મદા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય કર્મચારી અધિકારી હેડ કેવાટર નહીં છોડવાના આદેશો આપવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓને નર્મદા પરિક્રમા માટે વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. આ વર્ષે નર્મદા પરિક્રમામાં લાખો ભક્તો ઉમટી પડવાની સંભાવનાના કારણે આ નિર્ણય લેવાયો છે.
નર્મદા પરિક્રમા કિડી મકોડી ઘાટથી શરૂ થાય છે
શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું છે. જે 18 કિ.મીની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કિડી મકોડી ઘાટથી શરૂ થાય છે. ત્યારબાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. આ ઉપરાંત પરિક્રમાને ધ્યાનમાં રાખીને હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટી તૈયાર કરવામાં આવી છે.