ટીકરનાં રણમાં મીઠાનાં 500થી વધુ અગરો પર નર્મદાનાં નીર ફરી વળ્યાં

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ટીકરનાં રણમાં મીઠાનાં 500થી વધુ અગરો પર નર્મદાનાં નીર ફરી વળ્યાં 1 - image


નર્મદાનાં નીરે અગરીયાઓની પાંચ મહિનાની મહેનત પર ફેરવી પાણી દીધું :  હળવદના માનગઢ અને અજિતગઢ વચ્ચે માળિયા બ્રાંચ કેનાલનું પાણી રણમાં છોડવામાં આવતા ટીકર, અજીતગઢ, માનગઢ, જોગડ, કીડી સહિતના ગામોના અગરના પાટા પાણીમાં ગરકાવ

 હળવદ, : કચ્છના નાના રણમાં નર્મદાના વહેતા પાણીએ અગરીયાઓને રોવડાવ્યા છે.હળવદ પંથકના ટીકરના રણમાં અંદાજીત 25  KM વધુ એરિયામાં નર્મદાનુ પાણી ફરી વળતા 500થી વધુ મીઠાના અગર ધોવાયા છે. માળીયા બ્રાન્ચ નર્મદા કેનાલનું પાણી  ટીકર,કીડી,માનગઢ,અજીતીગઢ,જોગડ સહિતના ગામોના મીઠાના પાટામાં પાણી  ફરીવળતા અગરીયાઓની 5 મહીનાની મહેનત પર પાણી ફરી વળતા રોષ વ્યાપ્યો છે.

કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠું પકવીને રોજગારી મેળવે છે. પરંતુ છેલ્લા પંદરેક વર્ષોથી નર્મદાના પાણી રણમાં આવે છે.અને અગરીયાઓની રોજીરોટી પર પાણી ફેરવી નાખે છે. હળવદના માનગઢ અને અજિતગઢ વચ્ચે માળિયા બ્રાંચ કેનાલનું પાણી રણમાં છોડવામાં આવતા અજિતગઢ, માનગઢ, ટીકર, જોગડ, કીડી સહિતના ગામોના અગરના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. અંદાજીત 500 થી વધારે મીઠાના  અગરના પાટાઓ ઉપર સીધી અસર પડી છે.રણમાં આશરે 8 મહિના જેટલો સમય પસાર કરે છે અને હાલમાં 5 મહિનાની મહેનત ઉપર  માળીયા બ્રાન્ચ નર્મદા કેનાલના વેડફાતા પાણીના પગલે અગરના પાટાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.તો સાથે પાણીથી અગરના પાટા બચાવવા હાલતો અગરીયાઓ માટીથી પાણી રોકવાનો નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે.

ટીકર પાસે આવેલ રણમાં આશરે 25 કિલોમીટર એરીયામાં પાણી ફરી વળ્યું છે. અને હજુ પણ સતત પાણીની આવક ચાલુ છે.પેટે પાટા બાંધી કાળી મજૂરીની કમાણી પર પાણી ફરીવળતા  અગરીયાઓની પરીસ્થીતી દયનિય બની છે.સાથે સાથે  નર્મદાનું પાણી રણમાં મોટા પ્રમાણમાં આવી જતા વાહન ચાલકોને આવા જવામાં ભારે મુશ્કેલી પડે છે. તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પાણી બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.


Google NewsGoogle News