પુત્રીના જન્મ દિવસે તાપીમાં કૂદનાર પરિણીતાની સાસુની ધરપકડ

Updated: Oct 31st, 2021


Google NewsGoogle News
પુત્રીના જન્મ દિવસે તાપીમાં કૂદનાર પરિણીતાની સાસુની ધરપકડ 1 - image


- ઘરકામ અને રસોઇ બાબતે સાસરીયા ટોચરિંગ કરતા હોવાથી પાલનપુર પાટિયાની પરિણીતાએ આપઘાત કર્યો હતો

સુરત
સાસરીયાના ત્રાસથી કંટાળી પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ પરિવારની પરિણીતા દ્વારા પુત્રીના જન્મ દિવસે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના પ્રકરણમાં સિંગણપોર પોલીસે સાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પાલનપુર પાટીયા વિસ્તારની દીનદયાળ સોસાયટીના ઘર નં. 214 માં રહેતી જયતીબેન સંકેત જોષી (ઉ.વ. 31) 2 સપ્ટેમ્બરે સવારે નિત્યક્રમ મુજબ ફૂલ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયા હતા. ત્યાર બાદ જયતીબેનનો મૃતદેહ તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. શરૂઆતમાં જયતીબેનની ઓળખ થઇ ન હતી પરંતુ સોશ્યિલ મિડીયાના આધારે ઓળખ થઇ હતી. પોલીસ તપાસમાં સાસરીયાના રોજબરોજના ત્રાસથી કંટાળી જયતીબેન ફૂલ લેવા જવાનું કહીને જહાંગીરપુરા રામમઢી ઓવારે જઇ તાપી નદીમાં ઝંપલાવ્યાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે જે તે વખતે સાસરીયા વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં સિંગણપોર પોલીસે વ્હાલસોયી પુત્રીના જન્મ દિવસે જ આપઘાતનું આત્યાંતિક પગલું ભરનાર જયતીબેનના સાસુ હેમાબેન અનંતકુમાર જોષી (ઉ.વ. 55 રહે. 214, દીનદયાળ સોસાયટી, પાલનપુર પાટીયા) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SuratCrime

Google NewsGoogle News