વાપીના કરવડ ગામે એક પછી એક 18થી વધુ ભંગારના ગોડાઉન આગમાં સ્વાહા
Vapi : વાપીના કરવડ ગામની સીમમાં ગઇકાલે સોમવારે મધરાતે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આસપાસના 18થી વધુ ગોડાઉન લપેટમાં આવી ગયા હતા. ભિષણ આગને પગલે લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. લાશ્કરોએ લગભગ પાંચથી છ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાની થઇ ન હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના કરવડ ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ગઇકાલે સોમવારે અચાનક આગ સળગી ઉઠી હતી. આગ વધુ વિકારાળ બનતા આજુબાજુમાં આવેલા અન્ય 18 ગોડાઉન એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા. એકસાથે ગોડાઉનમાં આગ લાગતા જવાયા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ પણ મચી ગયો હતો. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.
ધટનાની જાણ થતા ડુંગરા પોલીસ દોડી ગયા બાદ વાપી મહાનગરપાલિકા, જીઆઇડીસી, નોટિફાઇડ સહિતના વિસ્તારના બંબા ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ પાંચથી છ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે વાપીના ડુંગરા અને કરવડ ગામે અધધ ભંગારના ગોડાઉન ઘમઘમી રહ્યા છે. સમાંયતરે ગોડાઉનમાં આગ લાગવા બનાવો પણ બનતા રહે છે. પોલીસ ભંગારીયા સામે ગુનો પણ નોંધે છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં નહી આવતા ભંગારીયાઓને મોકળુ મેદાન મળી રહ્યું છે. ભંગારના ગોડાઉનને કારણે પર્યાવરણ અને લોકોના આરોગ્ય અને જીવ સામે પણ દહેશત વર્તાતી હોય ત્યારે જિલ્લા કલેક્ટર આ મામલે ગંભીરતાથી પગલા ભરે તે જરૂરી છે.