લાખોંદમાં માનસિક વિચલિત આધેડનો ઝેરી દવા પી આપઘાત
ધોરડો ટેન્ટ સીટીમાં મુંબઇવાસી વૃધ્ધનું હૃદય રોગના હુમલાથી મોત
અંજારના વયસ્કનું શ્વાસની બીમારીથી ભારાપર ખાતે મૃત્યુ
પ્રાપ્ત વિગતો મુજબ લાખોંદ ગામે રહેતા ૪૫ વર્ષીય રવજીભાઇ વાલજીભાઇ મ્યાત્રા અપરણીત અને માનસિક અસ્વસ્થ હોઇ રવિવારે સાંજે તેમણે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. હતભાગના ભાઇ બાબુભાઇએ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે બપોરે હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે. તો, મુંબઇના ગોરેગાવ ખાતે રહેતા ૭૩ વર્ષીય અરૂણકુમાર અકલરાજ મહેતા નામના વૃધ્ધ તેમના સબંધી અને પરિવાર સાથે કચ્છ ધોરડો ફરવા આવ્યા હતા. તેમને સોમવારે રાત્રીના એક વાગ્યે ટેન્ટસીટીમાં છાતીમાં દુખાવો થતાં તેમના ગાંધીધામ ખાતે રહેતા સબંધી સંજયભાઇ તારાચંદભાઇ જૈન ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ખાવડા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે અંજાર ખાતે વાગડીયા ચોકમાં રહેતા સુરેશભાઇ પરષોતમભાઇ દાવડા (ઉ.વ.૬૦) નોકરીની શોધમાં ભુજ આવ્યા હતા. દરમિયાન શનિવારે સવારે નવ વાગ્યે તેમને ભારાપર પાસે છાતીમાં દુખાવો ઉપડતાં ભારાપર સરકારી હોસ્પિટલ બાદમાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ્યાં સોમવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.