મહેસાણા ભાજપના યુવા નેતાની કરતૂત, દુષ્કર્મ કેસમાં જેલહવાલે, ગૃહમંત્રી સાથેના ફોટા ચર્ચામાં

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
મહેસાણા ભાજપના યુવા નેતાની કરતૂત, દુષ્કર્મ કેસમાં જેલહવાલે, ગૃહમંત્રી સાથેના ફોટા ચર્ચામાં 1 - image


Chanasma Rape Case : ચાણસ્મા વિસ્તારમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જીલ્લા ભાજપ યુવા મોરચાના નેતાની સંડોવણી બહાર આવી છે. એટલું જ નહીં, ભુવાની પૂછપરછ આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે. જોકે, આ ચકચારી ઘટનામાં આરોપી શંકર ભુવાની પૂછપરછમાં ભાજપના યુવા નેતાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. 

આશરે 6 મહિના અગાઉ ભગો ઉર્ફે શંકર ચૌધરી નામના વિકલાંગ ભુવાએ એક કિશોરીને હવશનો શિકાર બનાવી હતી. આ તાંત્રિક ભુવાએ સગીરા સાથેનો અશ્લીલ વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. ભુવાની આ હરકતને પગલે સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. પરિણામે ભુવાને પોલીસે મહેસાણા તાલુકાના ઉપરચી ગામમાંથી ઝડપી લીધો હતો. 

સગીરા દુષ્કર્મ પ્રકરણમાં પાટણ પોલીસે ભુવાની પાપ લીલામાં અન્ય વ્યક્તિની પણ સંડોવણી છે કે કેમ? તેની તપાસનો દોર હાથ ધર્યો હતો. ભુવાની સઘન પૂછપરછ કરતાં મહેસાણા જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની આ અશ્લિલ કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ કારણોસર પોલીસે ગૌરવ ચૌધરીને તેના ઘરમાંથી ઝડપી લીધો હતો.

આ સમગ્ર કાંડમાં એ વાતનો પર્દાફાશ થયો છેકે, ખુદ ભાજપના યુવા મોરચાના નેતા ગૌરવ ચૌધરીએ સગીરા પર દુષ્કર્મ આચરનારાં પાખંડી ભુવા શંકર ચૌધરીને અજાણ્યાં સ્થળે સંતાડી રાખ્યો હતો. એટલુ જ નહીં, આરોપી ભુવાનો ફોન ગુમ કરી તેના સંતાડી રાખ્યો સાથે સાથે તેના જમવા અને રહેવાની વ્યવસ્થા પણ ગૌરવ ચૌધરીએ કરી હતી. પોલીસે ભુવા અને ભાજપના નેતા બંનેના મોબાઈલ પણ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ દરમિયાન, દુષ્કર્મના આરોપી અને ભાજપ યુવા મોરચાના નેતા ગૌરવ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ફોટો સમગ્ર ચાણસ્મા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આ અગાઉ પણ સુરતમાં ભાજપના એક નેતા કે જે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો તેના ફોટા પણ ગૃહમંત્રી સાથે વાયરલ થયા હતાં ત્યારે આખોય મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. 

એક તરફ, ભાજપ બળાત્કારના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરે છે, જ્યારે બીજી તરફ, ભાજપના નેતાઓની દુષ્કર્મના કેસના સંડોવણી બહાર આવે છે તો ભાજપના પ્રદેશ-કેન્દ્રીય નેતાઓ મૌન ધારણ કરી લે છે. ડ્રગ્સની હેરાફેરી હોય કે પછી દુષ્કર્મ પ્રકરણ હોય. મોટાભાગના કિસ્સામા ભાજપના નેતા-કાર્યકરોની જ સંડોવણી હોય છે.



Google NewsGoogle News