માતા અને બાળ મૃત્યુદર ઘટ્યો પણ ગુજરાતમાં કૂપોષિત બાળકો કેટલાં તેની માહિતી સરકાર પાસે જ નથી
Gujarat Government : ગુજરાતમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દર કેટલો છે તે અંગે વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં આરોગ્યમંત્રીએ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર બંને ઘટ્યો હોવાનું જણાવ્યુ હતું પરંતુ વિપક્ષના ધારાસભ્યએ કુપોષિત અને અતિ કુપોષિત બાળકો કેટલા છે તેની માહિતી માંગતા આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આ માહિતી હાલ ઉપલબ્ધ નથી.
માતા મૃત્યુ દર 70 હતો જે 2018-20માં 57 થયો : બાળ મૃત્યુદર ઘટીને 23 થયો
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન આરોગ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે 2001-3માં માતા મૃત્યુદર એક લાખે 172 હતો અને બાળ મૃત્યુદર એક હજારે 60 હતો.જે વર્ષોવર્ષ ઘટી રહ્યો છે અને સેમ્પલ રજિસ્ટ્રેશન સીસ્ટમ દ્વારા છેલ્લે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષે 2017-19માં જે પ્રતિ એક લાખ જીવત જન્મે 70 હતો તે 2018-20માં 13 ઘટીને 57 થયો હતો.
જ્યારે બાળ મરણ દર વર્ષે 2017-19માં પ્રતિ એક હજાર જીવત જન્મે 30 હતો તેમાં વર્ષ 2018-20માં 7ના ઘટાડા સાથે 23 થયો હતો. જ્યારે હાલ રાજ્યમાં 30થી40 હજાર જેટલા માતાઓ હાઈરિસ્ક પ્રેગનન્સી માં છે અને માતા પોષણ માટે એપ્રિલ 2024થી નમો શ્રી યોજના શરૂ કરાઈ છે.
આમ સરકારે બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટવા સાથે યોજનામાં સહાય અંગેની માહિતી આપી વાહવાહી લીધી હતી પરંતુ વિપક્ષના ધારાસભ્યએ રાજયમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની માહિતી માંગી હતી.