કચ્છના સામખિયાળીથી માળિયા તરફનો હાઇ-વે બંધ, મચ્છુ-2 ડેમના 32 દરવાજા ખોલાતા રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
કચ્છના સામખિયાળીથી માળિયા તરફનો હાઇ-વે બંધ, મચ્છુ-2 ડેમના 32 દરવાજા ખોલાતા રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી 1 - image

Rain In Rajkot-Kutch : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે હાઇવે ઉપર પાણી ભરાઇ જતાં પરિવહન સેવાને આજે ચોથા દિવસે વ્યાપક અસર થઇ હતી. રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ચાર-ચાર ફૂટ પાણી ડાયવર્ઝનમાં ભરાઇ જતાં ભારે વાહનો પસાર કરવાનું કામ મુશ્કેલ બની ગયું હતું. જેનાં કારણે હાઇવે ઉપર વાહનોની લાંબી લાઇનો કલાકો સુધી જોવા મળી હતી.

અમદાવાદ, રાજકોટ, જામનગર જતાં તમામ વાહનોને મોરબીને બદલે રાધનપુર હાઇવે તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. મોરબીનાં મચ્છુ-2 ડેમનાં 32 દરવાજા ખોલવામાં આવતા તમામ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં. કચ્છથી અમદાવાદ તરફ જવાનો સામખિયાળી-માળિયા હાઇવે બંધ થઇ જતાં સંખ્યાબંધ વાહનો અધવચ્ચે જ અટકી પડયા હતાં.

ભારે વરસાદને કારણે રાજકોટ, જામનગર, પોરબંદર,  દ્વારકા, ખંભાળિયા સહિતનાં વિસ્તારોમાં દોડતી એસટી બસોનું ટાઇમટેબલ અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ગ્રામીણ વિસ્તારોને જોડતાં કોઝ-વે અને રસ્તાઓમાં ભંગાણ પડતાં અનેક એસટી બસો રસ્તામાં ફસાઇ ગઇ હતી. કેટલીક બસો રાત્રિ દરમિયાન રસ્તામાં અધવચ્ચે જ ફસાઇ જતાં કલાકો સુધી મોડી પડી હતી.

રાજકોટ-જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે ઉપર અનેક સ્થળે બબ્બે ફૂટ પાણી ભરાઇ જતાં વાહનચાલકો માટે પસાર થવું જોખમી બની ગયું હતું. ભારે વરસાદનાં પગલે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર તેમજ રાજકોટ-જામનગર, રાજકોટ-મોરબી, રાજકોટ-ભાવનગર સહિતનાં માર્ગોમાં મસમોટા ગાબડા પડી જતાં ઠેક ઠેકાણે વાહનો ફસાઇ ગયા હતા.

માર્ગ અને મકાન વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રને જોડતાં જુદા-જુદા ૨૨ રસ્તાઓ ધોવાઇ ગયા છે તેમજ ગામડાઓને જોડતાં ૫૬ માર્ગોમાં પાણી ભરાયા હોવાથી પરિવહન સેવા અટકી ગઇ છે. વરસાદનાં પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત શરૂ થશે. એસટી બસની માફક રેલવે તંત્ર પણ ભારે વરસાદ નડયો હતો. સૌરાષ્ટ્રને જોડતી જુદી-જુદી ટ્રેનો મોડી પડી હતી. રસ્તામાં વરસાદને કારણે કલાકો સુધી ટ્રેનો રોકાઇ ગઇ હતી. રાજકોટ-દિલ્હીને જોડતી વિમાની સેવા વરસાદને કારણે ખોરવાઇ ગઇ હતી.


Google NewsGoogle News