Get The App

સવાસર નાકાને બાયપાસ કરી એસ.ટી. બસો દોડાવતાં અનેક મુસાફરો રઝળ્યાં

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સવાસર નાકાને બાયપાસ કરી એસ.ટી. બસો દોડાવતાં અનેક મુસાફરો રઝળ્યાં 1 - image


અંજારમાં બે વર્ષથી કામ પુરૂં થયું છતાં એસ.ટી. તંત્રનું રિવર્સ ગિયર

પાલિકાની સૂચનાથી રૂટ બદલ્યો હતો, કામ પૂર્ણ થયું તો પણ અનેક બસો હજુ બાયપાસઃ પાલિકાના નેતાનો એસ.ટી. અધિકારીને પત્ર

ગાંધીધામ: અંજારમાં બે વર્ષ પહેલા સવાસર નાકા તળાવના ઓગનનું પાણી ગંગાનાકા તળાવમાં ડાયવર્ટ કરવાનું કામ ચાલતું હોવાથી તમામ સરકારી બસોને થોડા સમય માટે સવાસર નાકે ન જવા માટેની સૂચના અપાઈ હતી. જે કામ પૂર્ણ થઈ ગયાને બે વર્ષ થઈ ગયું હોવા છતાં હજુ આજની તારીખે અમુક એસ.ટી બસો હજુ પણ સવાસર નાકા સ્ટોપ પર જતી ન હોવાથી પ્રવાસીઓ રઝડી રહ્યા હોવાથી આ બાબતે તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. 

આ અંગે અંજાર નગરપાલિકાના શાસકપક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામીએ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકને પત્ર પાઠવીને જણાવ્યુ હતું કે સવાસર નાકા થઈને જ એસ.ટી.ની બસો પસાર થાય અને ત્યાં સ્ટોપ કરે તેવી રજૂઆત બેથી ત્રણ વખત કરી છે. તા. ૧૫-૪-૨૩ના રોજ ભુજ વિભાગના નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે હવેથી અંજાર આવતી દરેક એસ ટી બસોએ સવાસર નાકા થઈને જવાનું રહેશે. પરંતુ આ પરિપત્રનો અમલ થતો નથી. સવાસર નાકાથી ગંગાનાકા તરફ રોડ પર ચાલતા કામને પૂરું થઈ ગયાને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઘણી બધી બસો આજની તારીખે સવાસર નાકે જતી નથી. વર્ષોથી દરેક એસ.ટી.ની બસો સવાસર નાકા પરથી પસાર થઈ ત્યાં સ્ટોપ પર ઉભી રહી પ્રવાસીઓને લેવા-ઉતારવાની સુવિધા આપતી હતી.

સવાસર નાકા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોના અનેક લોકો આ સુવિધાનો લાભ લેતા હતા. હાલે આ સુવિધાના લાભથી શહેરીજનો વંચિત રહેતા હોઈ અને તેમને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાથી નિલેશગિરિ દ્વારા બે વખત લેખિત અને એક વખત ટેલીફોનીક જાણ કરવા છતાં એસ ટી વિભાગના ડ્રાઈવરો આ પરિપત્રને ઘોળીને પી જાય ગયા હતા અને હજુ સુધી રુટ મુજબ બસ ચલાવતા નથી. જેથી હવે ભુજ તરફથી આવતી બસો અને ભુજ તરફ જતી બસો જો સવાસર નાકા રુટ પર નહીં જાય તો ન છૂટકે પોલીસ તંત્રને સાથે રાખીને એસ ટી ના ડ્રાઇવર પર રૂટ ફેર બદલનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 


Google NewsGoogle News