Get The App

લગ્નની લાલચ આપી સગીરા પર બળાત્કાર ગુજારનારને ૨૦ વર્ષ સખત કેદની સજા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
લગ્નની લાલચ આપી સગીરા પર બળાત્કાર ગુજારનારને ૨૦ વર્ષ સખત કેદની સજા 1 - image


અઢી વર્ષ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

હોટલમાં લઈ જઈને પણ દુષ્કૃત્ય આચર્યું : સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

ગાંધીનગર:  ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢી વર્ષ અગાઉ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં રહેતી સગીરાને વર્ષ ૨૦૧૯માં મિત્ર બનાવીને સાબરમતી ડાયાભાઈની ચાલીમાં રહેતા યુવાન ફેનીલ ઉર્ફે સન્ની રામચંદ્ર વાઘેલા દ્વારા લગ્ન કરવાની લાલચ આપીને ઘરે બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેણી સાથે વર્ષ ૨૦૨૧માં મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા. એટલું જ નહીં ચાંદખેડાની હોટલમાં લઈ જઈને પણ દુષ્કૃત્ય આચર્યું હતું. આમ તેણીનું શારીરિક શોષણ કર્યા બાદ આરોપી ફેનીલ દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે, મારે બીજી છોકરી સાથે પ્રેમ છે. હું તારી સાથે લગ્ન નહીં કરું જેથી આ સગીરાને તેની જિંદગી બરબાદ કરી દીધી હોવાનું લાગતા ઘરે ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી આ સંદર્ભે આરોપી યુવાન સામે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી ફેનીલ ઉર્ફે સન્ની રામચંદ્ર વાઘેલાને ૨૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૧૦ હજાર રૃપિયા દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને ચાર લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News