Get The App

સફેદ ડુંગળી લાવનાર વાહનમાં જ મહુવા યાર્ડ સીધું વેચાણ કરી ખર્ચ,સમય બચાવશે

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
સફેદ ડુંગળી લાવનાર વાહનમાં જ મહુવા યાર્ડ સીધું વેચાણ કરી ખર્ચ,સમય બચાવશે 1 - image


- ઘટતા ભાવને કાબૂમાં લેવા ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો અને કમિશન એજન્ટો સાથે મિટીંગ મળી

- આજથી સફેદ કાંદાની આવકને પ્રવેશ અપાશે, એક સરખો જ વક્કલ લાવવાનો રહેશે

મહુવા : મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ઘટતા જતાં ભાવને કાબૂમાં લેવા માટે યાર્ડના સત્તાધિશોએ ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો અને કમિશન એજન્ટો સાથે યોજેલી બેઠકમાં ખેડૂતો અને વેપારીઓ બન્નેના હિતમાં જે વાહનમાં ડુંગળી લાવવામાં આવી હોય તે જ વાહનમાં તેનું સીધું વેચાણ કરી સમય અને ખર્ચનો બચાવ કરવા નિર્ણય લીધો છે. 

મહુવા યાર્ડના ચેરમેન, ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો, કમિશન એજન્ટો વચ્ચે આજે બેઠક મળી હતી. જેમાં પીક સિઝન સુધી સફેદ ડુંગળીના વેચાણ માટે ખેડૂત જે વાહનમાં કાંદા લઈને આવે ત્યારે તેને યાર્ડમાં ઉતારે અને તેનું વેચાણ કરી ફરી અન્ય વાહનમાં નજીકના ડીહાઈડ્રેશનમાં મોકલવાની પ્રથા અમલી છે જેના કારણે ખેડૂત અને વેપારી સહિતના સમય અને ખર્ચમાં વધારો થાય છે. જેના બદલે ખેડૂતને ડુંગળીના ભાવ મળી રહે તે માટે જે વાહનમાં ખેડૂતો સફેદ ડુંગળી લઈને આવે છે તે વાહનમાં જ તેનું વેચાણ કરવા નિર્ણય લેવાયો છે. આમ થવાથી  આવક પ્રમાણસર થશે અને દરરોજ આવક લઈ શકાતી હોય, ભાવોમાં સુધારો આવશે તેવો મત રજૂ કરાયો હતો.

વધુમાં બાકી રહેલી સિઝન સુધી આવતીકાલ તા.૨૩ને બુધવારથી દરરોજ સાંજે ૬થી સવારે ૯ કલાક સુધી સફેદ કાંદાની આવકને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. જેની ઉભા પાર્કડ વાહનમાં હરાજી થવાની હોય, ખેડૂતોએ એક વાહનમાં એક સરખો વક્કલ લાવવો, હરાજી પહેલા નમૂનાની ત્રણ થેલીને નિશાન કરી ખાલી કરી રાખવાની રહેશે. સેમ્પલ ફેર માલ નીકળે તો તે વક્કલ કેન્સલ કરાશે. વાહનધારકોએ સફેદ ડુંગળીનો માલ કારખાના સુધી પહોંચતો કરવાનો રહેશે. તેના માટે ૧૦ કિ.મી. ઉપરનું ભાડું અને કાંદાની ઉતરાઈ કારખાનેદારે તેમજ ટેકાઈ ગાડીવાળા અથવા ખેડૂતે ચૂકવવું પડશે. હરાજીની ગાડી તે જ દિવસે ખાલી કરવી, યાર્ડના નિયમ મુજબ તોળાઈ (વે-બ્રીજ) ખર્ચ ખરીદનારને આપવાનો રહેશે. સફેદ બદલાની હરાજી ન કરવાની હોવાથી પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે.

ખેડૂતોને એક કિલો ડુંગળીએ રૂા.10 ની સહાય આપવા માંગ

મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના ઘટી રહેલા ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. જેને લઈ ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આજે મંગળવારે ખેડૂતોનું સંમેલન યોજી આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. આ મિટીંગમાં ખેડૂત આગેવાનોએ એક કિલો ડુંગળીએ રૂા.૧૦ની સહાય આપવા માંગણી કરી હતી. જ્યારે ખેડૂતોને એક થવા અને સફેદ કાંદા રૂા.૨૦૦થી નીચે નહીં વેચવા હાંકલ કરી હતી.

Tags :