લુહાણા ઠક્કર સમાજના બ્રેઇનડેડ વૃદ્ધના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન
- રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ પોરબંદરના બિપીનકુમારની કિડની,લીવર અને ચક્ષુઓનું દાન કરાયું
સુરત :
લુહાણા ઠક્કર સમાજના બ્રેઈન ડેડ થયેલા પર્વત પાટિયાના વૃદ્ધની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
મુળ પોરબંદરના વતની અને હાલમાં પર્વત પાટિયા રોડ અર્ચના સ્કૂલ પાસે સિલિકોન પેલેસમાં રહેતા ૬૮ વર્ષીય બિપીનકુમાર શામજીભાઈ દાસાણી રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગત તા. ૩૧મીએ સવારે તેમને ઘરે ખેંચ આવતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા ડોક્ટરે તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોક હોવાનું નિદાન થયું હતું. બાદમાં સોમવારે ડોક્ટરની ટીમે બિપીનકુમારને બ્રેનડેડ જાહેર કર્યા હતા. જાણ થતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી તેમના પરિવારના સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ હતું. સુરતની હોસ્પિટલની કિડનીનું દાન, લિવરનું દાન સ્વીકાર્યું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું.
દાનમાં મળેલી એક કિડનીનું સુરતની રહેતા ૫૦ વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું વડોદરાના રહેતા ૫૯ વર્ષીય વ્યક્તિમાં અને લિવરનું સુરતના રહેતા ૬૨ વર્ષીય વ્યક્તિમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૃરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. જયારે બિપીનકુમારના પરિવારમાં તેમની પત્ની રેણુકાબેન, બે પુત્રી વૃંદા રાકેશ કાનાણી અને પૂજા મીથિલેશ ઠક્કર જેઓ પરણિત છે, પુત્ર ધવલ જે ઓટોમોબાઈલ કંપનીમાં કી-એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.