'ના, હું અને મારો પરિવાર તો રાજપૂતો સાથે..' રૂપાલા વિવાદમાં ભાવનગરના મહારાજાનું મોટું નિવેદન

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
'ના, હું અને મારો પરિવાર તો રાજપૂતો સાથે..' રૂપાલા વિવાદમાં ભાવનગરના મહારાજાનું મોટું નિવેદન 1 - image


Lok Sabha Elections 2024 | રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધની પરાકાષ્ઠા વચ્ચે રાજકોટમાં 45 રાજવીઓએ લોકસભા ચૂંટણીમાં મોદી મારફતે પરોક્ષ રીતે ભાજપને આપેલાં સમર્થનના કૉલમાં ભાવનગર સ્ટેટનો નામોલ્લેખ થતાં ભાવનગરના મહારાજાએ વીડિયો જાહેર કરી કહ્યું કે હું અને મારો પરિવાર રાજપૂત સમાજ સાથે છીએ. 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તેવામાં આ વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ વેળાએ રાજકોટમાં રાજવીઓની ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં નોંધપાત્ર સંખ્યામાં રાજવીઓઓ હાજર રહ્યા હતા. 

આ બેઠક બાદ રાજકોટના ઠાકોર માંઘાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના વિકાસ માટે મોદીને ચૂંટી કાઢવા આહ્વન કર્યું હતું. આ આહ્વાન સાથે તેમણે રાજવી પરિવારોના નામ સાથે સમર્થન જાહેર કર્યા હતા. જેમાં ભાવનગર સ્ટેટનું પણ સમર્થન હોવાનો પત્ર મીડિયા સમક્ષ વાંચી સંભળાવ્યો હતો.જો કે, આ ઘટનાના પગલે ભાવનગર સ્ટેટના મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ગોહિલે બપોરે એક વીડિયો જાહેર કરી સ્પષ્ટતા કરી હતી. 

તેમણે સમર્થન પત્રમાં સ્ટેટના એકપણ સભ્યની સહી ન હોવાનું જણાવ્યું હતું. સાથોસાથે મહારાજા સહિત સમગ્ર ભાવનગર સ્ટેટ પરિવાર રાજપૂત સમાજ સાથે હોવાનું જણાવી તેમના નામે વહેતી થયેલી બાબતો ખોટી હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ તેમણે તમામ રાજકીય પક્ષોને શુભેચ્છા પાઠવવાની સાથે વ્યકિતગત રીતે સમાજ સાથે હોવાનું જણાવી તમામ ચર્ચાઓનો છેદ ઉડાડી દિધો હતો. 

ઉલ્લેખનીય છે કે, હાલ રૂપાલા સામે ચાલતાં ક્ષત્રિયોના આંદોલનના પ્રારંભિક તબક્કે જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ અને બાદમાં ક્ષત્રિય મહિલાઓના પ્રતિક ઉપવાસ સમયે મહારાણી સમયુંક્તાકુમારી દેવીએ ક્ષત્રિય સમાજને લડતમાં સંમર્થન જાહેર કર્યા બાદ ભાવનગરના મહારાજાએ વિડિયોના માધ્યમથી રાજપૂત સમાજ સાથે હોવાના જાહેર કરેલાં વધુ એક વખત સમર્થનને ગોહિલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે આવકાર્યું હતું. 

'ના, હું અને મારો પરિવાર તો રાજપૂતો સાથે..' રૂપાલા વિવાદમાં ભાવનગરના મહારાજાનું મોટું નિવેદન 2 - image



Google NewsGoogle News