સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ શિહોરાનો અઢી લાખથી વધુ મતથી વિજય, બંને ઉમેદવાર કોળી સમાજના

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ શિહોરાનો અઢી લાખથી વધુ મતથી વિજય, બંને ઉમેદવાર કોળી સમાજના 1 - image

Lok Sabha Elections 2024: સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવારની શાનદાર જીત થઈ છે.  આ બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા 6,69,749 મત મેળવીને 2,61,617 લીડ સાથે વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને 4,08,132 મત મળ્યા છે. નોંધનીય છે કે, આ બેઠક કોળી મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે બંને ઉમેદવાર કોળી સમાજના છે. 

ભાજપે નવા જ ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો  

ભાજપ આ વખતે સુરેન્દ્રનગર બેઠક માટે સરપ્રાઈઝ સાથે નવા જ ચહેરા તરીકે ચુવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. મૂળ હળવદ તાલુકાના કેદારિયા ગામે રહેતા ચંદુ શિહોરા સિવિલ એન્જિનિયર છે. તેઓ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે.

કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પર પસંદગી ઉતારી હતી  

કોંગ્રેસે ઉમેદવારોની 12મી યાદીમાં સુરેન્દ્રનગર બેઠક પર 2017ની વિધાનસભા ચૂંટણમાં ચોટીલાથી જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાના નામની જાહેરાત કરી હતી. 48 વર્ષીય ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે અને લાંબા સમયથી શિક્ષણ અને રાજનીતિ સાથે જોડાયેલા છે. તેઓ હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે. તેમણે કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે.

સુરેન્દ્રનગર બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી?

સુરેન્દ્રનગર લોકસભા બેઠક વર્ષ 1962થી અસ્તિત્વમાં આવી. આઝાદી પછી ત્રણ ચૂંટણી એટલે કે 1957 સુધી આ બેઠકનું નામ ઝાલાવાડ હતું. ત્યાર પછી તેનું નામ બદલીને સુરેન્દ્રનગર કરાયું હતું. આ બેઠક પર 1952થી 1962 સુધી કોંગ્રેસનો કબજો રહ્યો હતો, પરંતુ 1989ની ચૂંટણીથી અહીં ભાજપનો દબદબો વધવાની શરૂઆત થઈ હતી. 

આ બેઠક પર સૌથી લાંબા સમય સુધી સોમા પટેલ સાંસદ રહ્યા 

સુરેન્દ્રનગર બેઠક પર સૌથી લાંબો સમય સોમા પટેલ સાંસદ રહ્યા છે. તેઓ વર્ષ 1989માં ભાજપમાંથી સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી અને આ બેઠક પર પહેલીવાર ભાજપનો વિજય થયો હતો. ત્યાર બાદ 1991ની લોકસભા બેઠક પર ભાજપે ફરી સોમા પટેલને ટિકિટ આપી હતી. તે ચૂંટણીમાં પણ સોમા પટેલ વિજેતા બન્યા હતા. આમ સતત બે વાર સોમા પટેલ આ બેઠક પર વિજેતા થયા હતા. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર ભાજપે સોમા પટેલને ટિકિટ આપી હતી, જેમાં તેમણે જીત મેળવી હતી. જો કે, ત્યારબાદ સોમા પટેલ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી, જેમાં તેમનો વિજય થયો હતો.

લોકસભા 2019- 2014માં ભાજપના ઉમેદવારની જીત

• 2019માં ભાજપના ડો. મહેન્દ્ર મુંજપરાને 631,844 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના સોમા પટેલને 3,54,407 મત મળ્યા.

• ભાજપના ઉમેદવારને 58.63 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 32.88 ટકા મત મળ્યા હતા.

• એ વર્ષે બસપા,અપક્ષ અને નોટામાં પણ સરેરાશ 32 હજારથી વધુ મત પડ્યા

• 2014માં ભાજપના દેવજી ફતેપરાને 5,29,003 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના સોમા પટેલને 3,26,096 મત મળ્યા.

• ભાજપના ઉમેદવારને 56 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 34.52 ટકા મત મળ્યા હતા.

• એ વર્ષે આપ,અપક્ષ અને નોટામાં 38 હજારથી વધુ મત પડ્યા હતા.

સુરેન્દ્રનગરના વિજેતા સાંસદોની યાદી

1962ઘનશ્યામ ઓઝાકોંગ્રેસ
1967મેઘરાજજીસ્વતંત્રતા પાર્ટી
1971રસિકલાલ પારેખકોંગ્રેસ
1977આર. કે. અમીનજનતા પાર્ટી
1980દિગ્વિજયસિંહ ઝાલાકોંગ્રેસ
1984દિગ્વિજયસિંહ ઝાલાકોંગ્રેસ
1989સોમા પટેલભાજપ
1991સોમા પટેલભાજપ
1996સનત મહેતાકોંગ્રેસ
1998ભાવના દવેભાજપ
1999સવસી મકવાણાકોંગ્રેસ
2004સોમા પટેલભાજપ
2009સોમા પટેલકોંગ્રેસ
2014દેવજી ફતેપરાભાજપ
2019ડો. મહેન્દ્ર મુંજપરાભાજપ


સુરેન્દ્રનગર બેઠકનું જાતીય સમીકરણ

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર અત્યાર સુધીની 15 ચૂંટણીમાં સાત વખત કોંગ્રેસ જ્યારે ભાજપનો છ વખત વિજય થયો છે તો સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટીનો એક વખત વિજય થયો છે. સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી મતદારોની સંખ્યા વધારે હોવાથી સમાજનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આ સિવાય ક્ષત્રિય, દલિત, પાટીદાર, માલધારી, દલવાડી, બ્રાહ્મણ, જૈન, મુસ્લિમ મતદારોનું પણ પ્રભુત્વ જોવા મળે છે.



Google NewsGoogle News