Rajkot Lok Sabha 2024 Result: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું જ 'રાજ'

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Rajkot Lok Sabha 2024 Result: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું જ 'રાજ' 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે આજે ગુજરાતની 25 સહિત દેશની 542 બેઠકો પર મતગણતરી કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ 26 બેઠકો પર જીતનો દાવો કરી રહી હતી. જો કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો વિજય થતા ક્લિન સ્વિપનું સપનું રોળાઈ ગયું હતું. પરિણામ પહેલા સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી. જો કે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવારન પરશોત્તમ રૂપાલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો વિરોધ થયો હતો.

રાજકોટ બેઠક પર પાટીદાર vs પાટીદાર જંગ જામ્યો હતો

ગુજરાતમાં ભાજપનો 23 બેઠકો પર વિજય મેળવ્યો છે. જેમાં રાજકોટ બેઠકનો પણ સમાવેશ થાય છે. રાજકોટની બેઠક (Rajkot Seat) પરથી મોહન કુંડારિયાનું પત્તું કપાયું હતું અને તેમના સ્થાને મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અને કડવા પાટીદાર અગ્રણી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ને ભાજપે ટિકિટ આપી હતી. ઉલ્લેખનીય છે કે રૂપાલા કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિમંત્રી હતા. કોંગ્રેસ દ્વારા અમરેલીના જ લેઉઆ પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી. 

• ગુજરાત લોકસભાની 26 બેઠકોના પરિણામ

પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને પહેલી પ્રતિક્રિયા આપી હતી

'આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરુદ્ધ નહીં. વિચારધારાથી વિચારધારાની નહીં પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હ્રદયને જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે, હાર જીતતો જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારુ છું.' : પરેશ ધાનાણી

ક્ષત્રિય વિવાદના કારણે આ વખતે ખાસ હતી રાજકોટની ચૂંટણી 

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની આક્રમક રીતે માગ કરી હતી. આ દરમિયાન રૂપાલાએ વારંવાર માફી પણ માગી હતી, પરંતુ ક્ષત્રિય સમાજ ટસનો મસ નહોતો થયો. જો કે રૂપાલા સામેના પ્રચંડ વિરોધ પછી પણ ભાજપ હાઈ કમાન્ડે રૂપાલાની ટિકિટ રદ કરી ન હતી. ક્ષત્રિયોનો વિરોધ એટલો પ્રચંડ હતો કે, તેમણે ભાજપને ધમકી આપતા કહ્યું હતું કે જો તમે રૂપાલાની ટિકિટ રદ કરશો તો પણ અમે ભાજપને મત નહીં આપીએ. 

Rajkot Lok Sabha 2024 Result: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું જ 'રાજ' 2 - image


Google NewsGoogle News