ભરૂચમાં મનસુખ વસાવાનો દબદબો યથાવત્, 86 હજારની સરસાઈથી ભવ્ય જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ભરૂચમાં મનસુખ વસાવાનો દબદબો યથાવત્, 86 હજારની સરસાઈથી ભવ્ય જીત 1 - image


Lok Sabha Elections 2024: ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં વસાવા-વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. પરંતુ આ બેઠક પર સાંસદ તરીકે સતત સાતમી વખત મનસુખ વસાવા ચૂંટાઈ આવતા ભાજપનું 11મી વાર શાસન પુનરાવર્તન થયું છે. ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 6,04,141 મત મેળવી 86,741 લીડ સાથે વિજેતા થયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 5,17,400 મત મેળવ્યા છે.

ભરૂચ બેઠક પર સતત 35 વર્ષથી ભાજપનું રાજ

દેશમાં ભાજપને માત આપવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા, તૃણમૂલ સહિતના રાજકીય પક્ષોએ મળીને 'I.N.D.I.A.' ગઠબંધન બનાવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતમાં બેઠક વહેંચણીને લઈને સહમતિ સધાઈ હતી. તે અંતર્ગત આમ આદમી પાર્ટીના ખાતામાં ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક આવી હતી. જો કે ગુજરાતની ભરૂચ બેઠક પર સતત 35 વર્ષથી ભાજપનું રાજ છે. આ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપને જોરદાર ટક્કર આપવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

• ગુજરાત લોકસભાની 26 બેઠકોના પરિણામ 

ભાજપના દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા એક પણ ચૂંટણી નથી હાર્યા

ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. ત્યારે મનસુખ વસાવા આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે અને ભાજપના વરિષ્ઠ નેતા પણ છે. તેઓ અત્યાર સુધી એક પણ ચૂંટણી હાર્યા નથી. મનસુખ વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ બેઠક પર કબજો જમાવીને બેઠા છે. આમ, તેઓ સતત 27 વર્ષથી લોકસભા જીતતા આવી રહ્યા છે. મનસુખ વસાવા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજ્યની અનેક લોકસભા બેઠકો પર ઉમેદવાર બદલાયા છે, પરંતુ મનસુખ વસાવા સતત રિપીટ થયા છે. ભાજપમાંથી ચૂંટણી લડવાને કારણે તેમને છેલ્લી બે ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા. 2014ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલને 1.53 લાખ મતની સરસાઈથી હતા. તો 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને 3.34 લાખ મતથી હરાવ્યા હતા. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર તેમની કામગીરીને લઈને ચર્ચામાં રહેતા હોય છે. 

બે વાર સાંસદ રહેલા અહેમદ પટેલને ભાજપ સામે 1989માં હાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલ એક સમયે ભરૂચ બેઠક જીતીને કોંગ્રેસ નેતૃત્વની નજરમાં આવ્યા હતા. અહેમદ પટેલ વર્ષ 1977માં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા હતા. આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું ન હતું, તેવી સ્થિતિમાં અહેમદ પટેલે જીત મેળવી હતી. ત્યારબાદ અહેમદ પટેલ સતત બે વખત જીત્યા હતા. આમ તેઓ વર્ષ 1977થી 1989 સુધી સાંસદ રહ્યા હતા. 1989ની ચૂંટણીમાં ભાજપે ચંદુભાઈ દેશમુખને અહેમદ પટેલની સામે ઉતાર્યા હતા, જેમાં અહેમદ પટેલની હાર થઈ અને ભાજપ ત્યારથી આ બેઠક પર ભાજપ જીતી રહ્યું છે. 

ભરૂચ લોકસભા બેઠક પર 1957થી 1984 સુધી 27 વર્ષ કોંગ્રેસનું રાજ

1957ચંદ્રશંકર ભટ્ટ
1962છોટુભાઈ પટેલ
1967માનસિંહજી રાણા
1971માનસિંહજી રાણા
1977અહેમદ પટેલ
1980અહેમદ પટેલ
1984અહેમદ પટેલ


બાદમાં આ બેઠક પર 1989થી 2019 સુધી 35 વર્ષ ભાજપનું રાજ

1989ચંદુભાઈ દેશમુખ
1991ચંદુભાઈ દેશમુખ
1996ચંદુભાઈ દેશમુખ
1998ચંદુભાઈ દેશમુખ
1998મનસુખ વસાવા
1999મનસુખ વસાવા
2004મનસુખ વસાવા
2009મનસુખ વસાવા
2014મનસુખ વસાવા
2019મનસુખ વસાવા
2024મનસુખ વસાવા


ભરૂચ લોકસભા બેઠકનું ગણિત?

ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબજો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યા હતા. 

ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી

ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. ત્યારે બંને ઉમેદવારોએ આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરવી જ પડશે.




Google NewsGoogle News