'લોકોએ મને કહ્યું એમનાથી આખો જિલ્લો ડરે છે, તમે ચૂંટણી લડો, એટલે મેં...': ગેનીબેનનો હુંકાર
Lok Sabha Elections 2024 | બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આક્રમક મિજાજ અપનાવતાં ભાજપના નેતા શંકર ચૌધરી સામે આક્રમક પ્રહાર કર્યા હતા. ગેનીબેને કહ્યું કે મને લોકોએ કહ્યું કે તમારે આ વખતે ફરજિયાત ચૂંટણી લડવી પડશે. મેં કારણ પૂછ્યું તો કહેવા લાગ્યા કે જેનાથી આખો જિલ્લો ડરે છે તેમની સામે ચૂંટણી લડવાની છે. એટલા માટે જ મેં આ પડકાર સ્વીકાર્યો છે. પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી. બધા આગેવાનોના આગ્રહ પર મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ગેનીબેને આક્રમક અંદાજમાં કર્યા પ્રહાર
ગેનીબેને આક્રમક અંદાજમાં કહ્યું કે બહારથી આવીને લોકો બનાસકાંઠામાં દરેક ક્ષેત્રના લોકોનું શોષણ કરી રહ્યા છે. બનાસ ડેરીના સંચાલકો ડેરીમાં ડ્રાફ્ટિંગ કરાવીને પ્રજાપતિ સમાજે કેવા નિવેદનો આપવા, દલિતો વિશે શું બોલવું, બ્રાહ્મણો અંગે કેવા શબ્દોનો પ્રયોગ કરવો તે અંગે નિર્દેશ આપે છે.
ગેનીબેને હાથ જોડીને કરી વિનંતી
ગેનીબેને હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું કે જે લોકો આક્ષેપબાજી કરી રહ્યા છે એમણે સમજવું જોઈએ કે તેમનો ફક્ત ઉપયોગ થઇ રહ્યો છે અને તેમને બોલવા માટે આગળ કરાઈ રહ્યા છે. આ બોલનારા લોકો એ પણ વિચારે કે તેઓ જે કંઇ બોલી રહ્યા છે તેમાં તથ્ય કેટલું છે. આવા લોકો જાણી લે કે 7 તારીખ પછી 8મીએ તમારા ફોન કોઈ ઉપાડવાના નથી.
5, 10, 15 એફઆઈઆરથી કંઈ થવાનું નથી, ડરતા નહીં : ગેનીબેન
ગેનીબેને પાલનપુરમાં સભાને ગજવતાં ક્ષત્રિય સમાજના આગેવાનોને કહ્યું કે જો તમારી સામે 5-10 એફઆઈઆર થાય તોય તૈયારી રાખજો પણ ડરતા નહીં. પોલીસવાળાઓ અંગે કહ્યું કે જો આ લોકો આવીને ધમકાવતા હોય તો તેમને કહી દેજો કે તમારા લોકોનું શાસન હંમેશા માટે ટકવાનું નથી. 8મી તારીખ સુધી તમને અનેક લાલચો કે સારી જગ્યાએ બદલીની ઓફરો આપશે પણ તમને કંઇ મળવાનું નથી. ગેનીબેને કહ્યું કે અમે ગાંધીવાદી વિચારધારાવાળા છીએ.